શહેરમાં પ્રેમ સંબંધને કારણે એક નિર્દોષ શાકભાજીના વેપારી પોતાના જીવથી હાથ ધોઈ બેઠા હોવાની દર્દનાક ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનામાં આશ્ચર્યજનક બાબત એ છે કે યુવતીને ભગાવનાર યુવકના જીજાજી ટાર્ગેટ બન્યા અને તેને અપહરણ કરી કથિત પ્રેમ સંબંધના બદલા રૂપે મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.
સંપૂર્ણ ઘટના ૮ એપ્રિલ, ૨૦૨૫ના રોજ શરૂ થઈ હતી જ્યારે કાપોદ્રા કપૂરવાડીના ખોડિયાર નગર વિસ્તારમાં રહેતા અને શાકભાજી વેચીને જીવન યાપન કરતા ૩૬ વર્ષીય પ્રમોદ ચૌધરી ૬ વાગ્યા આસપાસ ઘરેથી બહાર ગયા હતા અને ત્યારબાદ પરત ન ફરતા તેમની પત્ની આરતીદેવી ચૌધરીએ બીજા દિવસે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ દરમિયાન ૧૪ એપ્રિલે ઓલપાડના કારેલી ગામ નજીકના કેનાલમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. ખેદજનક બાબત એ રહી કે લાશની ઓળખ ન થઈ હોવાને કારણે ઓલપાડ પોલીસે મૃતદેહનો અંતિમ સંસ્કાર પણ કરી દીધો હતો. તપાસ આગળ વધતા સુરત પોલીસને જાણ મળી કે પ્રમોદનો સાળો ધનંજય ચૌધરી એક યુવતી સાથે પ્રેમમાં હતો અને તેને ભગાવીને લઈ ગયો હતો.
યુવતીના પરિવારજનો, ખાસ કરીને તેનો ભાઈ નિતેશ બૈઠ તેમજ તેના સાથીઓએ ધનંજય ન મળતાં તેના બદલે તેમના ઘરના વ્યક્તિ પ્રમોદ ચૌધરીને સજા આપવાનું નક્કી કર્યું હતું. ૮ એપ્રિલે સાંજે યુવતીના ભાઈ નિતેશે પોતાનું જૂનું કામ કરતું ગેરેજ અને માલિક મોહિત પરવડીયા તથા મિત્ર કપિલ કોલડિયા, જય ઉર્ફે બાવો લશ્કરી અને દીક્ષિત મકવાણા સાથે મળી એક કારની વ્યવસ્થા કરીને પ્રમોદનું અપહરણ કર્યું હતું. કારમાં બેસાડીને તેને ધનંજયની પૂછપરછના નામે બેરહેમીથી માર માર્યો હતો. પ્રમોદને ધનંજયની રહેવાની જગ્યા વિશે કોઈ માહિતી ન હતી છતાં પણ આરોપીઓએ તેને માર મારતા તેનું મોત થયું હતું. આથી તમામ પાંચ આરોપીઓએ મૃતદેહ છુપાવવા માટે તેને ૯ એપ્રિલની સવારે ૪:૩૦ વાગ્યે પીપોદરા નજીકના કેનાલમાં ફેંકી દીધો અને ફરાર થઈ ગયા હતા.
કાપોદ્રા પોલીસે તત્કાલ કાર્યવાહી કરીને પહેલા નિતેશ અને દીક્ષિતની ધરપકડ કરી હતી. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ ત્રણ આરોપી – મોહિત ઉર્ફે ભાણો પરવડીયા, કપિલ કોલડિયા અને જય ઉર્ફે બાવો લશ્કરીને અનુક્રમે સૌરાષ્ટ્ર, વડોદરા અને સીમડા નહેર ખાતેથી ઝડપી લીધા હતા. હવે પોલીસે પાંચેના રિમાન્ડ મેળવી આગળની તપાસ શરૂ કરી છે.