(એ.આર.એલ),સુરત,તા.૨૦
સુરતમાં રત્ન કલાકારને ચોરીની આશંકાએ માર મારવામાં આવતા તેનું મોત થયું છે. કપોદરામાં રત્ન કલાકારનું મોત થયાની ઘટના બની છે. રત્ન કલાકાર હીરાના કારખાનામાં કામ કરતો હતો. તેણે હીરાની ચોરી કર્યાની આશંકાથી તેને માર મારવામાં આવ્યો હતો. તેના પગલે રત્ન કલાકાર લાલજી ઉર્ફે લાલો બાંભણીયાનું મોત થયું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આ પહેલા રત્ન કલાકાર લૂંટમાં પકડાયા હતા. શહેરને ડાયમંડ સિટી તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખવામાં આવે છે, પરંતુ આ ડાયમંડ સિટીની ચમક છેલ્લાં બે વર્ષથી ઝાંખી પડી છે. ડાયમંડ ઉદ્યોગ સતત મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે અને તેના જ કારણે રત્નકલાકારો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે મંદીના કારણે રત્નકલાકારો ક્રાઇમ તરફ આગળ વધતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ત્રણ રત્ન કલાકારોએ હીરાની લૂંટનો પ્લાન બનાવ્યો અને હવે તેમને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.
મૂળ રાજકોટ જેતપુરના ખારચીયા ગામના રહેવાશી અને સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતા ૩૫ વષીય કૃણાલભાઈ પ્રવિણભાઈ ભુવા વરાછા મીની બજારમાં દેવ ફોરપીના નામે હીરાનું કારખાનું ધરાવે છે તેમને ત્યાં બે ફોરથી મશીન ઉપર દિવસે સંદીપ અને રાતપાળીમાં હાર્દિક દિનેશભાઈ ભુવા અને રૂપેશ ભવાનભાઈ બારૈયા નામના કામદાર નોકરી કરે છે.
રાત પાળીમાં નોકરીએ આવેલા હાર્દિક અને રૂપેશ ખાતામાં કામ કરતા હતા ત્યારે મળસ્કે ત્રણ વાગ્યાની આસપાસ બે અજાણ્યા શખ્સ મોઢા ઉપર રૂમાલ બાંધીને અંદર ઘુસી આવ્યા હતા. જે પૈકી એકે છરી બતાવી જે કંઈ હોય તે આપી દો હીરાનો માલ અને પૈસા તેમ કહેતા બંને ગભરાઈ ગયા હતા અને કશું બોલ્યા નહોતા. જેથી જેના હાથમાં છરી હતી તેણે રૂપેશના ગળા પાસે છરી રાખી દીધી હતી આમ ચપ્પુની અણીએ ૮૦ હજારની મત્તાના ૧૨૦ કેરેટ હીરા તેમને આપી દીધા હતા એટલું જ નહીં લૂંટારૂ બે કારીગરના મોબાઈલ પણ લઈ ગયા હતાં અને ત્રણેય બહારથી દરવાજા બંધ કરી ભાગી ગયા હતા.