સુરતના પાંડેસરા વિસ્તારમાં થયેલી એક યુવાનની હત્યાનો ભેદ માત્ર બે દિવસમાં જ પોલીસે ઉકેલી દીધો છે. આ હત્યા માત્ર ૫૦ રૂપિયાની લેતી-દેતીના કારણે થઈ હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. આ કેસમાં બર્થડે પાર્ટી દરમિયાન માત્ર ૫૦ રૂપિયાની લેતી-દેતીની વાતથી શરૂ થઈ અને એક મોટા ઝગડામાં પરિણમી હતી. પાંડેસરા પોલીસે આ કેસમાં બે મુખ્ય આરોપીઓ બીટ્ટુ સિંહ અવધિયા અને ચંદનશિહ દુબેની ધરપકડ કરી છે. આ ઘટના ૧૬ સપ્ટેમ્બરના રોજ ઘટી હતી, જ્યારે ૧૭ સપ્ટેમ્બરે મૃતકની લાશ મળી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘટના બીટ્ટુ સિંહના જન્મદિવસની ઉજવણી દરમિયાન બની હતી. ૧૬ સપ્ટેમ્બરની મોડી સાંજે બીટ્ટુ સિંહ અને તેમના સાત મિત્રો તિરુપતિ સર્કલ પાસે એકઠા થયા હતા. જન્મદિવસની પાર્ટી માટે તેઓએ હોટલમાં એક રૂમ ભાડે લીધો હતો. આ દરમિયાન અનિલ રાજભરે બીટ્ટુ સિંહને હાથ ઉછીના તરીકે ૫૦ રૂપિયા આપ્યા હતા. પરંતુ આ નાની રકમની વાતથી જ રકજક ચાલું થઈ અને અને ઉગ્ર ઝગડામાં પરિણમી હતી. ઝઘડા દરમિયાન ભગતસિહ રાજપૂતે વાઇપરની લાકડી લઈને બીટ્ટુ સિંહને માર માર્યા હતો. તે જ સમયે ચંદનશિહ દુબેએ અનિલ રાજભરને પકડી રાખ્યો હતો. આ વચ્ચે બીટ્ટુ સિંહે એકાએક ભગતસિહ રાજપૂતને ચપ્પુથી ઘા મારી દીધા, જેના કારણે ભગતસિહનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તેમજ અનિલ રાજભરને પણ ઇજા થઈ જેને તાત્કાલિક હોસ્પિટલલમાં ખસેડવામાં આવ્યો હતો.
૧૭ સપ્ટેમ્બરની મોડી રાત્રે પાંડેસરા વિસ્તારમાં ભગતસિહ રાજપૂતની લાશ મળી હતી, જેના પગલે પોલીસે તુરંત તપાસ શરૂ કરી. માત્ર બે દિવસમાં જ તપાસમાં મુખ્ય આરોપીઓના નામ સામે આવ્યા અને પાંડેસરા પોલીસે બીટ્ટુ સિંહ અને ચંદનશિહ દુબેની ધરપકડ કરી લીધી છે. પોલીસ હવે આ કેસમાં વધુ તપાસ કરી રહી છે અને અન્ય સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ ઘટના દર્શાવે છે કે કેટલીક વખત નાની વાતો પણ ગંભીર પરિણામો તરફ દોરી જાય છે. પોલીસની ત્વરિત કાર્યવાહીથી આ કેસ ઝડપથી ઉકેલવામાં આવ્યો છે.







































