સુરતમાં કામરેજ વિસ્તારમાં શેખપુર ખાતેની હરિદર્શન રેસિડેન્સી-એ વિભાગના રહીશોને ગેરકાયદે અને બળજબરી કરીને ટાટા કેપીટલ હાઉસીંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા મિલકત ખાલી કરવા અંગેની નોટીસ આપવામાં આવી હતી. આ અંગે સોસાયટીના પ્રમુખ હીરાભાઇ પડાયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ “હરિદર્શન રેસિડેન્સી” માં આશરે ૧૬૦૦ જેવા રહેણાંક મકાનો આવેલા છે. જેમાં હજારો પરિવારો વસવાટ કરે છે. આ મિલકતોનું મોર્ગેજ ડીડ તા.૧૮/૦૪/૨૦૧૮ના રોજ સદર ભાગીદારી પેઢી વતી બંને ભાગીદારોએ તથા ટાટા કેપિટલ હાઉસીંગ ફાઈનાન્સ લીમીટેડ-સુરત દ્વારા થયેલ હતું. આર.સી.એન્ડ કંપનીના ભાગીદાર રમેશભાઈ ચનાભાઈ હિરપરા, હંસાબેન રમેશભાઈ હિરપરા તથા ટાટા કેપિટલ હાઉસીંગ ફાઈનાન્સના અધિકારીઓએ તથા પિરામલ કેપિટલ હાઉસીંગ ફાઈનાન્સ લીમીટેડ-સુરતના અધિકારીઓએ ભેગા મળી મિલકતની નોધ ન પડાવી કાવતરું રચી ભયંકર ગુનાહિત કૃત્ય કરેલ છે તેવો આક્ષેપ સોસાયટીના પ્રમુખે કર્યો છે. હાલમાં ટાટા કેપિટલ હાઉસીંગ ફાઈનાન્સના અધિકારીઓ કબજો મેળવવા પ્રયત્ન કરી રહ્યા હોય અને રેસીડેન્સીના રહીશોને મકાનોમાં કબજો ખાલી કરવાની નોટીસો લાગતા ભયનો માહોલ ઉભો થયેલ છે. પ્રમુખે ગેરકાયદે કબજો લેવાની સામે કામરેજ પોલીસ સ્ટેશનમાં તા.૦૯/૦૧/૨૦૨૫ તથા તા.૧૩/૦૧/૨૦૨૫ના રોજ કાયદાની વિવિધ કલમો તેમજ અટ્રોસીટી એક્ટ મુજબ લેખીત ફરિયાદો આપી આઈજી અને કલેકટરને રજૂઆત કરેલ છે.