પલસાણા તાલુકાના કારેલી ગામમાં રેલવે ફાટક નજીક ગઈકાલે ઘોળા દિવસે એક મારામારીની ઘટના બની હતી. જેમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. પ્રાથમિક માહિતી મુજબ બેફામ ટ્રેક્ટરને રોકવાની બાબતે આ વિવાદ શરૂ થયો હતો. જેમાં ભરવાડ સમાજના લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને આખા ગામને માથે લીધું હતું. આ ઘટના ગઈકાલે બપોરના સમયે બની હતી, જ્યારે કારેલી ગામના રેલવે ફાટક નજીક એક ટ્રેક્ટર બેફામ રીતે આવી રહ્યું હતું, દરમિયાન ગામના કેટલાક લોકોએ ટ્રેક્ટર ચાલકને બરાબર ચલાવવાનું કહ્યું અને સામાન્ય બોલાચાલી શરૂ થઈ હતી. બાદમાં આ નાની બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને વિવાદ ટૂંક સમયમાં હિંસામાં ફેરવાયો હતો.

ઘટનામાં ૧૬થી વધુ લોકોનું ટોળું લાકડીઓ અને ફટકા લઈને ચાર લોકો પર તૂટી પડ્યું હતું. આરોપીઓએ આ ચાર લોકોના માથા અને શરીર પર ફટકા માર્યા હતા, જેના કારણે ચારેય ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે બાદ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન હસમુખ ઢોડિયા નામના વ્યક્તિનું ગંભીર ઈજાઓને કારણે મોત થયું છે. જોકે બાકીના ત્રણ ઘાયલોની હાલત હજુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

આ મારામારીના સીસીટીવી ફૂટેજ અને વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં આરોપીઓની આક્રમકતા સ્પષ્ટ દેખાય છે. આ ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી મોટાભાગના આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ ગ્રામજનોમાં પણ આક્રોશ ફેલાયો છે. ગુસ્સે થયેલા ગ્રામજનોએ ગામ સંપૂર્ણ બંધ કરાવી દીધું અને મહિલાઓ સહિત લોકો રોડ પર ઉતરી આવ્યા છે. તેઓએ પોલીસની ગાડીનો ઘેરાવ કર્યો અને પોલીસની ઢીલી નીતિ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. જેથી પોલીસે ગામમાં ભારે બંદોબસ્ત ગોઠવી દીધો છે.

આગાઉ પણ પલસાણા તાલુકાના જાલવા ગામમાં ડીજે નાચવાની બાબતે એક બુટલેગરની હત્યા થઈ હતી, જેના આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. આ નવી ઘટનાએ પ્રશ્ન ઉભો કર્યો છે કે શું ગુનેગારોને પોલીસનો ખૌફ રહ્યો નથી? ગ્રામજનોનું કહેવું છે કે પોલીસની ઢીલી નીતિને કારણે પલસાણા તાલુકામાં ગુનેગારો બેફામ બન્યા છે. ગ્રામજનોએ પોલીસની નબળી કાર્યવાહી પર આક્ષેપ કર્યો છે. મૃતક હસમુખ ઢોડિયાના પરિવારે આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. આ કારણે પોલીસ પર દબાણ વધ્યું છે. પોલીસે આરોપીઓની ધરપકડ માટે ઝડપી કાર્યવાહીની ખાતરી આપી છે, પરંતુ ગ્રામજનોનો આક્રોશ શાંત થવાનું નામ લેતો નથી. આ ઘટનાની ચર્ચાએ આખા પલસાણા પંથકમાં ભારે જોર પકડ્યું છે.