સુપ્રીમ કોર્ટે ગુરુવારે મધ્યપ્રદેશમાં ન્યાયિક અધિકારીઓની નિવૃત્તિ વય ૬૦ થી વધારીને ૬૧ વર્ષ કરી. મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ અને ન્યાયાધીશ પ્રસન્ના બી. વરાલે અને કે. વિનોદ ચંદ્રને તેમના વચગાળાના આદેશમાં તેલંગાણા હાઈકોર્ટના સમાન નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે, “જ્યારે રાજ્ય સરકાર તૈયાર છે, ત્યારે ન્યાયિક અધિકારીઓને આ રાહત કેમ ન આપવી જાઈએ?”બેન્ચે જણાવ્યું હતું કે ન્યાયિક અધિકારીઓ અને અન્ય રાજ્ય સરકારી કર્મચારીઓ બંનેનો પગાર એક જ સરકારી તિજારીમાંથી ચૂકવવામાં આવે છે. કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે અન્ય રાજ્ય સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિ વય ૬૨ વર્ષ છે. કોર્ટે નોંધ્યું હતું કે હાઇકોર્ટના ન્યાયાધીશો અને જિલ્લા અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ વય વચ્ચે એક વર્ષનો તફાવત છે.હાઈકોર્ટના ન્યાયાધીશો ૬૨ વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે, અને હવે મધ્યપ્રદેશમાં જિલ્લા અદાલતના ન્યાયાધીશો માટે નિવૃત્તિ વય ૬૧ વર્ષ હશે. બેન્ચે અરજી પર અંતિમ સુનાવણી ચાર અઠવાડિયા માટે નક્કી કરી હતી.મધ્યપ્રદેશ હાઇકોર્ટ વતી વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણન હાજર થયા. તેમણે જિલ્લા કોર્ટના ન્યાયાધીશો માટે નિવૃત્તિ વય વધારવાની માંગનો વિરોધ કર્યો. ૨૭ ઓક્ટોબરના રોજ, સુપ્રીમ કોર્ટે ન્યાયિક અધિકારીઓ માટે નિવૃત્તિ વય ૬૦ થી ૬૧ વર્ષ કરવાના ઇનકારને પડકારતી અરજી પર મધ્યપ્રદેશ સરકાર અને હાઇકોર્ટ રજિસ્ટ્રી પાસેથી જવાબ માંગ્યો. ૨૬ મેના રોજ,સીજેઆઇ ગવઈની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં ન્યાયિક અધિકારીઓ માટે નિવૃત્તિ વય ૬૧ વર્ષ કરવામાં કોઈ કાનૂની અવરોધ નથી.









































