અભિનેતા અન્નુ કપૂરે દિલ્હીમાં સેલિબ્રેટિંગ ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટીવલના સમાપન સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે, તેમણે ફિલ્મ ફેસ્ટીવલ્સના મહત્વ વિશે વાત કરી. તેઓ ઇચ્છે છે કે દિલ્હી જેવા શહેરોમાં પણ પોતાના ફિલ્મ ફેસ્ટીવલ્સ હોવા જોઈએ, જે સિનેમાને પ્રોત્સાહન આપશે.
અન્નુ કપૂર કહે છે, ‘ફિલ્મ ઉત્સવોના ઘણા ફાયદા છે. ફિલ્મો આપણા લોકો માટે મનોરંજનનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે. જે લોકો આવા ફિલ્મ ઉત્સવોનું આયોજન કરે છે, તેમાં એવી ફિલ્મોનો સમાવેશ થાય છે, જે લોકો થિયેટરોમાં જોઈ શકતા નથી. જેમણે અર્થપૂર્ણ ફિલ્મો બનાવી છે, પરંતુ ઓછા બજેટને કારણે, તે યોગ્ય રીતે રિલીઝ થઈ નથી. આવી સ્થિતિમાં, ફિલ્મ ઉત્સવોનું પ્લેટફોર્મ આ ફિલ્મોને તક આપે છે. આપણા યુવાનો પણ તેમની સાથે જોડાય છે.’
અન્નુ કપૂર આગળ કહે છે, ‘હવે મને લાગે છે કે, એક સમય આવશે જ્યારે ઓછામાં ઓછું દિલ્હી, દક્ષિણ દિલ્હી અને ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં પોતાનો અલગ ફિલ્મ ઉત્સવ હશે. આ ખૂબ સારી વાત હશે કારણ કે આપણે જાણીએ છીએ કે ક્રિકેટ અને સિનેમા આપણા દેશમાં મનોરંજનના મહત્વપૂર્ણ માધ્યમ છે. તેથી, તેમના પર વધુ ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.’
તાજેતરમાં, શાહરૂખ ખાનને ફિલ્મ ‘જવાન’ માટે રાષ્ટÙીય ફિલ્મ પુરસ્કાર મળ્યો છે. અન્નુ કપૂર આનાથી ખૂબ ખુશ છે. તે કહે છે, ‘હું તેમને અભિનંદન આપું છું. હું તેમના સારા સ્વાસ્થ્ય માટે કામના કરું છું. જ્યારે કોઈ સક્ષમ વ્યક્તિને તેના કાર્ય માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળે છે, ત્યારે તે ખૂબ જ પ્રેરણાદાયક બાબત છે. મારું માનવું છે કે જો તે અર્થપૂર્ણ કાર્ય કરે છે, તો તે સમાજને નવી દિશા આપી શકે છે.’
સેલિબ્રેટિંગ ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટીવલનો સમાપન સમારોહ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની હાજરીમાં યોજાયો હતો. આ મહોત્સવ દરમિયાન ત્રણ વખતના ગ્રેમી એવોર્ડ વિજેતા સંગીતકાર રિકી કેજ અને દિગ્દર્શક ભરત બાલાની ફિલ્મ ‘અહમ ભારતમઃ ‘આઈ એમ ઇન્ડિયા’ બતાવવામાં આવી હતી. આ ફિલ્મ મહોત્સવમાં અભિનેતા અન્નુ કપૂરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ મહોત્સવનું આયોજન ૮ ઓગસ્ટથી ૧૦ ઓગસ્ટ દરમિયાન કરવામાં આવ્યું હતું.











































