જમ્મુ અને કાશમીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ સતત તણાવપૂર્ણ બનેલા છે. આ બધા વચ્ચે બંને નિવેદનબાજી પણ પરાકાષ્ઠાએ પહોંચી છે. પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી અને પીપીપીના પ્રમુખ બિલાવલ ભુટ્ટો જરદારીએ સિંધુ જળ સંધિ અંગે ભારતને પોકળ ધમકી આપી છે. ભુટ્ટોનું કહેવું છે કે સિંધુ નદી પાકિસ્તાનની છે અને જા ભારતે તેનું પાણી રોકવાની કોશિશ કરી તો ભારતે તેનો અંજામ ભોગવવો પડશે.
એક રેલીમાં પાકિસ્તાનના લોકોને સંબોધિત કરતા પીપીપી પ્રમુખે કહ્યું કે હું સિંધુ દરિયાની પાસે ઊભો રહીને સ્પષ્ટ કરવા માંગુ છું કે સિંધુ નદી આપણી હતી, આપણી છે અને આપણી રહેશે….કાં તો આ નદીમાં પાણી વહેશે નહીં તો પછી તેમનું લોહી, જે અમારી નદી અમારી પાસેથી છીનવી લેવા માંગે છે.
બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે પાકિસ્તાન અને ભારત વચ્ચે સમજૂતિ થઈ હતી. આ સમજૂતિમાં ભારત કહી ચૂક્્યું છે કે સિંધુ નદી પાકિસ્તાનની છે. હવે મોદી કહે છે કે અમે આ સમજૂતિ માનતા નથી. આવું ન થઈ શકે. આ વાત કોઈ નહીં માને. પાકિસ્તાનની જનતા નહીં માને કે ભારતની જનતા પણ અમારા પર થતો આ અત્યાચાર સહન નહીં કરે.
પાક નેતાએ ભારત પર આતંકી હુમલાની જવાબદારી પાકિસ્તાન પર થોપવાનો આરોપ લગાવ્યો. ભુટ્ટોએ કહ્યું કે કાશ્મીરમાં આતંકી હુમલો થયો છે. અમે બધાએ તેની ટીકા કરી છે. અમે કહ્યું પણ છે કે પાકિસ્તાન પોતે આતંકવાદથી પીડિત છે પરંતુ ભારતે અમારી ઉપર જ આરોપ લગાવી દીધો. હું કહેવા માંગુ છું કે જા તમારી જનસંખ્યા વધુ છે તમે મોટો દેશ છો તો તેનો અર્થ એ નથી કે તમે કોઈ પણ નિર્ણય તમારી ઈચ્છા મુજબ લઈ શકશો. પાકિસ્તાનની જનતા ગર્વિત અને બહાદુર છે તે પોતાના હકોની રક્ષા કરવાનું જાણે છે.
બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે પીએમ મોદી જ્યાં પણ જાય છે તેઓ પોતાને હજાર વર્ષ જૂની સભ્યતાના ઓળખાવે છે. હું તમને કહેવા માંગુ છું કે આજે આપણે જ્યાં ઊભા છીએ ત્યાં સિંધુ ઘાટી સભ્યતાનો જન્મ થયો હતો. આપણે આ સભ્યતાના અસલ વારસદાર છીએ. આપણે આ દરિયાના અસલ વારસદાર છીએ.
પાકિસ્તાની પંજાબમાં શહબાજ શરીફ સરકાર સાથે મળીને સરકાર ચલાવતા ભુટ્ટોએ કહ્યું કે હું પ્રધાનમંત્રી શરીફને કહેવા માંગુ છું કે રાજ્યના મુદ્દાઓમાં કદાચ અમારી વિચારધારા એક જેવી ન હોય પરંતુ પાકિસ્તાનના હક માટે અમે તેમના નિર્ણયો સાથે છીએ.