સિંગાપોરમાં નકલી લગ્નના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સિંગાપોરના પુરુષો પૈસા કમાવવા માટે વિદેશી મહિલાઓ સાથે નકલી લગ્ન કરી રહ્યા છે. વિદેશી મહિલાઓ લાંબા સમય સુધી દેશમાં રહેવા અને કામ કરવા માટે લગ્ન કરી રહી છે. સિંગાપોરના અધિકારીઓએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તાજેતરમાં નકલી લગ્નો અંગે સિન્ડીકેટ પ્રકાશમાં આવ્યા બાદ અધિકારીઓ સતર્ક બન્યા છે. અધિકારીઓનું માનવું છે કે આવા લગ્નો સામાજિક સમસ્યાઓમાં વધારો કરે છે. સિંગાપોર ઇમિગ્રેશન એન્ડ ચેકપોઇન્ટ્‌સ ઓથોરિટીએ આવા કેસો અંગે તકેદારી વધારી છે.
એક રિપોર્ટ અનુસાર સિંગાપોરમાં નકલી લગ્નના મામલાઓને લઈને સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે.આઇસીએએ જણાવ્યું કે ૨૦૨૪માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં નકલી લગ્નના કેસ વધીને ૩૨ થઈ ગયા. જે ૨૦૨૩માં માત્ર ચાર હતા. અધિકારીઓએ જણાવ્યું કે વિદેશી મહિલાઓ સિંગાપોરમાં નકલી લગ્ન ગોઠવવા માટે પુરૂષોને પૈસા ચૂકવે છે. જેથી તેમને અહીં રહેવા અને કામ કરવાની પરવાનગી મળી શકે. પરંતુ આનાથી સામાજિક સ્તરે સમસ્યાઓ વધે છે અને વિદેશીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થવાની સંભાવના વધે છે.
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સિંગાપોરના આઇસીએ અધિકારીઓએ તાજેતરમાં એક કપલને પકડ્યું જ્યાં પત્ની અલગ રહેતી હતી અને પતિ અલગ રહેતો હતો. ઉપરાંત, તે વ્યક્તિની માતાને ખબર નહોતી કે તેનો પુત્ર પરિણીત છે. બંનેની ધરપકડ કરવામાં આવી છે અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
આઇસીએ અધિકારીઓનું કહેવું છે કે કપટી લગ્નો ગેરકાયદેસર છે અને તેને જડમૂળથી ઉખેડવા માટે અમલીકરણના પ્રયાસો વધારવામાં આવી રહ્યા છે. આ માટે ગુનેગારોને દસ વર્ષ સુધીની જેલ અને ૧૦,૦૦૦ સિંગાપોર ડોલરનો દંડ થઈ શકે છે. લોકોને શંકાસ્પદ કેસની જાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, કારણ કે મોટાભાગની ધરપકડો જાહેર માહિતી પર આધારિત હોય છે. જૂન ૨૦૨૪ માં, ૧૩ વ્યક્તિઓ પર નકલી લગ્ન કરવા માટે આરોપો મૂકવામાં આવ્યા હતા. તેમની તપાસ ચાલી રહી છે.