સાવરકુંડલામાં નાવલી કાંઠે શ્રી મહાપ્રભુજીની બેઠકજી ખાતે આયોજિત શ્રી વલ્લભ અનુગ્રહ મહોત્સવનું આજે સમાપન થયું હતું. આ પ્રસંગે અષ્ટોત્તરશત શ્રીમદ ભાગવતજી વચનામૃતના વક્તા પ. પૂ. ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીની અસ્ખલિત વાણી દ્વારા ઉપસ્થિત તમામ વૈષ્ણવોએ કથાનું રસપાન કર્યું હતું. જેમાં વિશાળ સંખ્યામાં વૈષ્ણવોએ ભાગવત સપ્તાહનો લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી. આ સમગ્ર આયોજન તારીખ ૪-૧૧-૨૪ થી ૧૦-૧૧-૨૪ રવિવાર સુધી કરવામાં આવેલ હતું. આજે સુદામા ચરિતના પ્રસંગ સાથે કથાની પૂર્ણાહુતિ થઇ હતી. રોજે રોજ ભાગવત સપ્તાહ પૂર્ણ થયે મોટી સંખ્યામાં વૈષ્ણવોએ મહાપ્રભુજીની બેઠકજી ખાતે મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો. આ કથા દરમિયાન અનેક રાજકીય, સામાજિક મહાનુભાવોએ પણ હાજરી આપી હતી.