વડોદરા હરણી તળાવ અને સુરત તક્ષશિલા બાદ મોરબી દુર્ઘટનાને હજી લોકો ભૂલી નથી શક્યા, ત્યાં તાજેતરમાં રાજકોટ ટી.આર.પી. ગેમઝોનમાં ભયાનક આગના બનાવમાં ૨૭ જિંદગી હોમાઈ ગઈ છે ત્યારે તંત્ર સફાળું જાગ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. ફાયર સેફટી બાબતે સરકાર દ્વારા કડક કાર્યવાહીના આદેશ મળતાં સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસર હસમુખ બોરડ અને ફાયરના હેડ સહિતના સ્ટાફ દ્વારા સાવરકુંડલાની તમામ હોસ્પિટલ, ટ્યુશન કલાસીસ, એપાર્ટમેન્ટ અને શૈક્ષણિક સંસ્થાઓ સહિતમાં તપાસ કરી જે જગ્યાએ ફાયર એનઓસી ન હોય ત્યાં તત્કાલ ફાયર સેફટીના સાધનો લગાવવા નોટિસો ફટકારવામાં આવતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. પાલિકા દ્વારા સાવરકુંડલાની કે.કે. મહેતા સરકારી હોસ્પિટલમાં તપાસ કરતા ફાયર સિસ્ટમ તો લાગેલી જોવા મળી પરંતુ સિસ્ટમ બંધ હાલતમાં જોવા મળતા ત્યાં પણ નોટિસ આપી સિસ્ટમ ચાલુ કરવા કડક સૂચના આપી હતી.