સાવરકુંડલામાં પૌત્રને દાદીમા આંગણવાડીમાં ભણવા માટે મૂકવા જતા હતા ત્યારે માધવાણીની વાડી શિવાજીનગરમાં રસ્તામાં ગાયે ઢીંક મારતા ઉર્મિલાબેન નટુભાઈ ચુડાસમા (ઊ.વ. ૬૫)નામની મહિલાને હેમરેજ થતા મૃત્યુ થયું હતું. ગાયે પ્રૌઢા પર હુમલો કરતા ૧૫ જેટલા માણસોએ આ પ્રૌઢાને છોડાવવાનો પ્રયત્ન કર્યો છતાં ગાયે ઢીંક મારવાનું ચાલુ રાખ્યું હતું ત્યારે શહેરમાં રખડતા પશુઓને કારણે શહેરીજનો ભય અનુભવી રહ્યા છે અને સવાલ કરી રહ્યા છે કે શહેરને રખડતા ઢોરમાંથી ક્યારે છુટકારો મળશે? રખડતા ઢોરને કારણે પ્રૌઢાએ જીવ ગુમાવ્યો છે ત્યારે આવો બનાવ અન્ય કોઈ સાથે ન બને તેવુ શહેરીજનો ઈચ્છી રહ્યાં છે.