પ્રતિક્ષા કરું છું હું તમારી અને પરીક્ષા કરો છો તમે અમારી.
કરી લો ગમે તેટલી કસોટી મારી,
નહિ ખૂટે તમારા પ્રત્યેની શ્રદ્ધા મારી.
આપણે ત્યાં હાલની પેઢી મોટેભાગે વડીલો બુઝુર્ગોની વાતને બહુ ધ્યાને લેતા નથી અથવા તો એની વાતની અવગણના કરીને મનમાં એવું વિચારે કે એ જૂના જમાનાના માણસ કહેવાય અત્યારના મોર્ડન યુગની એને શું ખબર પડે. પણ હકીકતમાં વયોવૃદ્ધ કે વડીલ પાસે નિરાંતે બેસીને એની વર્ષો પહેલાની વાતો, એના જીવનના સંઘર્ષો સાંભળવામાં આવે તો એના અનુભવના નિચોડ સ્વરૂપે આપણને ઘણું જાણવા મળે છે. એમણે ઉંમર વાવીને અનુભવોનો પાક લીધો હોય છે. માટે તો આપણે ત્યાં એક કહેવત પડી છે કે ‘ગવઢા ગાડા પાછા વાળે.’ એકવાર એક વડીલને કહેવામાં આવ્યું કે કંઈક સલાહ આપો તો વડીલ બોલ્યા ઃ ‘બસ એટલું ધ્યાન રાખજો કે કોઈ નિર્દોષ વ્યક્તિ કુદરતને આપની ફરિયાદ ના કરે.’ વાત એક વાક્યની છે પણ ઘણુંબધું કહી જાય છે. સવાલ એ થાય કે નિર્દોષ વ્યક્તિ એટલે કોણ ? જે સંપૂર્ણપણે તમારા ભરોસે ચાલતા હોય અને તમે સાચું ખોટું બોલીને કે બનાવટ કરીને એનો વિશ્વાસઘાત કરીને એને અધવચ્ચે ટીંગાડી દ્યો. પછી જવાબદારી નિભાવવાની જગ્યાએ જવાબ આપવાનું ટાળો. તમારા વાંક ગુનાનો ઢાંકપીછોડો કરવા ઉલટાનું નિર્દોષ વ્યક્તિ પર ખોટે-ખોટું દોષારોપણ કરીને તમારી જાતને હોશિયાર સમજો ત્યારે આવી નિર્દોષ વ્યક્તિ પરિસ્થિતિવશ મજબૂરીના હિસાબે તમને કશું કહી ના શકે અથવા તો એની નિર્દોષતા સાબિત કરી ના શકે અને તમે એનો લાભ ઉઠાવો ત્યારે એની આંતરડી દુભાય છે. અને તમારું ખરાબ ના ઈચ્છવા છતાં કુદરત એનો અંતરનાદ સાંભળીને તમને વહેલો મોડો એનો હિસાબ સરભર કરવા ન્યાય આપે છે ત્યારે તમારું કરેલું તમારે અવશ્ય ભોગવવું પડે છે. આ કુદરતી હિસાબ-કિતાબ બહુ અજીબ હોય છે. ઘણીવાર ટૂંકા ગાળા માટે તમે મનમાં રાજી થાવ છો પણ લાંબા ગાળે તમારી સુખ શાંતિ હણાઇ જાય ત્યારે તમને કદાચ પસ્તાવો થાય તો પાછું વળવા માટે તમારી પાસે મોકો નથી હોતો. કોઈ નિર્દોષ જીવ, નાનું બાળક, અબળા નારી, મજબૂર મિત્ર, શિસ્તબદ્ધ સેવક કે શિષ્ય, ભરોસાબંધ ભાઈ-ભાડું કે તમારી નીચે કામ કરનાર કામદાર કે કર્મચારી વગેરે લોકો સાથે તમારો વ્યવહાર કે તમારા વર્તનમાં તમારી સત્તાનો દૂરઉપયોગ તો નથી થઈ રહ્યો ને એ શાંત ચિત્તે વિચારજો. ઘણીવાર સત્તા કે શક્તિની આડમાં આપણા મનમાં માલિકીપણું સવાર થઈ જાય છે અને આપણે આપણી અનુકૂળતા કે સગવડતા ખાતર કે આપણા સ્વાર્થ ખાતર આવી નિર્દોષ વ્યક્તિને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઘણું નુકસાન કરી બેસતા હોઈએ. એ સંબંધ ખાતર બધું સહન કરતા જાય અને આપણે એની સ્થિતિ સમજી ના શકીએ. પરિણામે એમને આપણા લીધે જે શોષવું પડે કે સહન કરવું પડે ત્યારે એક પ્રકારનો ઈમોશનલ અત્યાચાર આપણે કરતા હોઇએ એનું આપણને ભાન રહેતું નથી. પરિણામે આવા નિર્દોષ લોકોની હાય લાગતી હોય છે. બીજી બાજુ દરેક વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિ પ્રત્યે મન, વચન અને કર્મથી સમર્પિત હોય છે. આ સમર્પણમાં સમજણ ખૂબ જરૂરી છે. સમજણ વગરનું સમર્પણ આંધળું અનુકરણ ગણાય છે. આવું સમર્પણ ભયાનક પરિણામો નોતરે છે. ઇતિહાસ એનું સાક્ષી છે. રામાયણ અને મહાભારતમાં એના દાખલા મોજૂદ છે. આવું જ વિરોધનું છે. વિરોધ પણ વિવેકપૂર્ણ હોવો જોઈએ અન્યથા આંદોલન બની જાય છે. ખાસ કરીને મોટા સમુદાયનો સામૂહિક વિરોધ જ્યારે વિવેક ગુમાવે છે ત્યારે સમાજમાં વર્ગવિગ્રહ ઊભા થાય છે અને પરિણામ સ્વરૂપે સમાજ અને રાષ્ટ્રને મોટા નુકસાન થતાં હોય છે. ક્યારેક તો આવા વિવેક વગરના વિરોધ એટલી હદે પહોંચી જાય ત્યારે તોફાનો, આંતરિક ક્લેશ, જાતિવાદ, કોમવાદ, પ્રદેશવાદ, ધર્મવાદના આંદોલન, હુલ્લડ અને તોફાનો અને ભયાનક વિશ્વયુદ્ધો થાય છે જેમાં અનેક નિર્દોષ લોકોના ભોગ લેવાય છે ત્યારે પીડિત, શોષિત અને ભોગ બનનાર પરિવારોની બહુ મોટી હાય જવાબદાર વ્યક્તિ પ્રત્યે લાગતી હોય છે. કુદરત આગળ ફરિયાદ સ્વરૂપે ન્યાય માટેની મૂક આહ નીકળી જાય ત્યારે ભલભલા શક્તિશાળીની સત્તા અને શક્તિ હણાઈ જાય છે. આના પણ દાખલા આપણા ઇતિહાસમાં મોજૂદ છે. આપણા જીવનમાં આપણા ક્ષણિક સુખ કે નીજી સ્વાર્થ માટે આપણાંથી કોઈ નિર્દોષ વ્યક્તિના સુખ-ચેન ના છીનવાઈ જાય એની જાગૃતતા અને કાળજી જ આપણને ચિર શાંતિ આપી શકે અન્યથા જાણી જોઈને કરેલી ખોટી બનાવટ કે ઈમોશનલ અત્યાચાર ખુદનું કાળજું કોરી ખાશે એ અનુભવે સમજાશે. અસ્તુ.