રાજુલા શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી રાજુલા નગરપાલિકાના કચરા ઉપાડવા માટેના વાહનો બંધ હોવાથી સમગ્ર શહેરમાં અનેક સ્થળોએ કચરાના ઢગલા જોવા મળી રહ્યા હોવાથી લોકોમાં નારાજગી વ્યાપી છે. લોકો કહે છે એક તરફ સરકાર સ્વચ્છતા અભિયાન ચલાવે છે અને વિકાસની વાતો કરે છે ત્યારે રાજુલા શહેરમાં આ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. બીજી તરફ શહેરમાં પાણીની ગંભીર સમસ્યા પણ છે, લોકોને ૧૦-૧૨ દિવસે પાણી મળે છે. શહેરના અમુક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો પણ બંધ છે ત્યારે નગરપાલિકાના બેદરકાર શાસન સામે લોકોમાં રોષ વ્યાપ્યો છે. રાજુલા શહેરના જીવા બાપુ ચોકના રહીશો દ્વારા આ સમસ્યાઓ અંગે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પરિણામલક્ષી કામગીરી નહીં થતાં લોકો કંટાળ્યા છે. દસ-પંદર દિવસે એક વાર કચરો ભરવા માટે ગાડી આવતી હોવાથી કચરો ભરાયેલો રહે છે. જાણીતા સ્થાનિક રહેવાસી આકાશભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, છેલ્લા દસ દિવસથી અમે નગરપાલિકામાં ફોન દ્વારા અવારનવાર રજૂઆત કરીએ છીએ પરંતુ કચેરીના અધિકારીઓ દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી નથી. જો હવે આ સફાઈ કરવામાં નહીં આવે તો નાછૂટકે અમારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.