સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલ વક્તાઓની કામચલાઉ યાદી અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વાર્ષિક ઉચ્ચ-સ્તરીય સત્રને સંબોધિત કરી શકે છે. યુએનજીએનું ૮૦મું સત્ર ૯ સપ્ટેમ્બરથી શરૂ થશે. ઉચ્ચ સ્તરીય સામાન્ય ચર્ચા ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર સુધી ચાલશે, જેમાં પરંપરાગત રીતે બ્રાઝિલ સત્રનું પ્રથમ વક્તા હશે, ત્યારબાદ અમેરિકા. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૩ સપ્ટેમ્બરે યુએનજીએ પ્લેટફોર્મ પરથી વિશ્વ નેતાઓને સંબોધિત કરશે. દરમિયાન, સૂત્રોએ અહેવાલ આપ્યો છે કે પીએમ મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વાતચીત શક્ય છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૮૦મા સત્રની ઉચ્ચ સ્તરીય ચર્ચા માટે વક્તાઓની પ્રારંભિક યાદી અનુસાર, ભારતના સરકારના વડા ૨૬ સપ્ટેમ્બરની સવારે સત્રને સંબોધિત કરશે. ઇઝરાયલ, ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના સરકારના વડાઓ પણ તે જ દિવસે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની સામાન્ય ચર્ચાને સંબોધિત કરશે.

સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું શિખર સંમેલન યોજાશે અને ૨૩ સપ્ટેમ્બરથી શરૂ થતા અઠવાડિયામાં વિશ્વ નેતાઓ આવવાનું શરૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદી અન્ય વૈશ્વીક નેતાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો પણ કરી શકે છે, જેમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી પણ શામેલ હોઈ શકે છે. ‘ભારત ખેડૂતોના હિત સાથે સમાધાન કરશે નહીં’

પીએમ મોદીની યુએસ મુલાકાતના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે અમેરિકાએ ભારત પર ૫૦ ટકા ટેરિફ લાદ્યો છે. હાલમાં ૨૫ ટકા ટેરિફ અમલમાં છે, જ્યારે થોડા દિવસોમાં વધારાનો ૨૫ ટકા ટેરિફ લાદવામાં આવી શકે છે. ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે તે કોઈપણ સોદા માટે તેના ખેડૂતોના હિત સાથે સમાધાન કરશે નહીં. પીએમ મોદીએ તો એમ પણ કહ્યું હતું કે તેઓ વ્યક્તિગત રીતે કિંમત ચૂકવવા તૈયાર છે પરંતુ ખેડૂતોના હિત સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.