સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ જિલ્લાના ચાર જુવાનિયાઓ ખેતી ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. પહેલાના સમયમાં વાવણી કરવાની હોય ત્યારે શેઢા -પાડોશીઓ એકબીજા વાવેતર માટે ઢાલ કરતાં જ્યારે પાકની લણણી હોય ત્યારે ઢાલ કરતાં એ સંપ, સહકાર અને ભાઈચારાનો રિવાજ હતો. આજે માનવ સ્વભાવને દુનિયાના અલગ અલગ રંગો લાગી જવાથી સંબંધોમાં બાદબાકી આવી છે. કહેવાતો આધુનિક સમય અને મોબાઈલ ક્રાંતિએ બધાને અલગ અલગ કરી દીધા છે ત્યારે યુવાધનને ખેતી સાથે હવે ઓછો નાતો રહ્યો છે. પશ્ચિમી
સંસ્કૃતિથી ખતરાની વાતો કરનારાઓ બહુમુખીયાઓ મોટાભાગે એ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતા થયા છે. આજે આપણે વાત કરવી છે, રાજકોટ જિલ્લાના ભણેલા-ગણેલા ચાર મિત્રોની જેના અલગ અલગ ગામો, અલગ અલગ તાલુકાઓ, અલગ અલગ જ્ઞાતિઓ છતાં પણ આગામી સમયમાં એક દિશા સૂચક મિસાલ બનશે. આમ તો ખેતી કરતા તમામ લોકો માટે જ્ઞાતિ જાતિ નથી અને એટલે જ સૌથી મોટો સમાજ એટલે ખેડૂત સમાજ. આ ચાર યુવાનોએ ત્રણથી પાંચ વર્ષ પહેલા ગાય આધારિત
પ્રાકૃતિક ખેતીની સંપૂર્ણ માહિતી અને વિવિધ શિબિરોમાં જઈને
પ્રાકૃતિક રાસાયણિક મુક્ત ખેતી કરવાની તાલીમ લીધી હતી. આ તાલીમ બાદ તેઓએ પોતાના બાપ દાદાની જમીન ઉપર ખેતી કરવાની શરૂઆત કરી. જ્યાં સંપ સહકાર અને આયોજન હશે એ પરિવાર કે કંપની ધંધાની સારી પ્રગતિ કરશે. ચાર મિત્રો પૈકી હરદેવભાઈ ભગવાનભાઈ વણોલ તેઓ સર ગામના વતની છે. તેનો અભ્યાસ ગ્રેજ્યુએટ અને ઉંમર ૩૬ વર્ષ છે. પોતાની ૨૦ વીઘા જમીનમાંથી ૧૧ વીઘા જમીનમાં ગાય આધારિત
પ્રાકૃતિક ખેતી કરે છે. રેનીશભાઈ હરસુરભાઈ ખેર ગામ વેજા, તાલુકો ગોંડલ, ઉંમર ૩૩ વર્ષ, અભ્યાસ ગ્રેજ્યુએટ. જમીન ૩૨ વીઘા અને છેલ્લા ત્રણ વર્ષની પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે. ત્રીજા વ્યક્તિ વિજયભાઈ ધરમશીભાઈ ચાવડા ગામ ખરેડા, તાલુકો કોટડા સાંગાણી, ઉંમર વર્ષ ૩૩, અભ્યાસ ધોરણ ૧૨. જમીન ૩૦ વીઘા જેમાંથી ૧૨ વીઘામાં પ્રાકૃતિક ખેતી કરે છે. ચોથા મિત્ર હાર્દિકભાઈ ભરતભાઈ ચાવડા મુકામ ખરેડા, તાલુકો કોટડા સાંગાણી, અભ્યાસ આઈ.ટી.આઈ. જમીન ૨૦ વીઘા ૮ વીઘામાં પ્રાકૃતિક ખેતી કરે છે. રેનીશભાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે અમો બધા મિત્રો ખેતી સાથે જોડાયા પછી અલગ અલગ જગ્યાએ
પ્રાકૃતિક ખેતીની શિબિરો થતી તેમાં જતા અને ભેગા થતા એમાંથી મિત્રતા થઈ. ચારેય મિત્રોએ ગયા વર્ષે નક્કી કર્યું કે ખેડૂતોને ઉપયોગી થવું અને જે ખાનાર વર્ગ છે તેને કેમિકલ્સ વિના જ અનાજ, કઠોળ, તેલીબિયાં, શાકભાજી
પુરા પાડવા. આજે માનવજાત કેન્સર સામે ઝઝુમી રહી છે ત્યારે ખેડૂતોએ જ પહેલ કરવી પડશે એ ધ્યેય સાથે કામધેનુ એન્ટરપ્રાઇઝ નામની કંપની બનાવી. આજે કંપની દ્વારા પ્રાકૃતિક ખેત પેદાશોનું વેલ્યુ એડિશન કરવામાં આવે છે જેમાં મગફળીમાંથી તેલ અને સીંગદાણા, તલમાંથી તેલ અને તલનું પેકિંગ, ધાણાજીરું પાવડર, મરચું પાવડર, તુવેરમાંથી તુવેરદાળ, મગ અને મગદાળ, ચણા અને ચણા દાળ આમ વેલ્યુએડિશન કરી “ફાર્મ એકર” નામના ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન હેઠળ ગોયકાના સર્ટી. સાથે ગ્રાહકોને પૂરો વિશ્વાસ બેસે તે રીતે વેચાણ કરી રહ્યા છે. હાલ તેઓ એમેઝોન અને વેબસાઈટના માધ્યમ થકી ગ્રાહકો સુધી પહોંચી રહ્યા છે. રેનીશભાઈ કહે છે કે ખેડૂતોએ પોતાના પરિવાર કે સગા સંબંધીઓને કેન્સર જેવી ભયાનક બીમારીમાંથી બચાવવા હશે તો વ્યસન છોડવા પડશે ઉપરાંત કેમિકલ્સ ફર્ટીલાઇઝર્સના વધુ પડતા બેફામ ઉપયોગના હિસાબે જમીન બગડી જાય છે અને જ્યારે કેન્સર જેવા રોગોનું પ્રમાણ પણ વધ્યું છે તેમાંથી બચવા માટે ખેડૂતોએ પોતાના પૂરતા શાકભાજીનું વાવેતર પ્રાકૃતિક ખેતી અને દેશી બિયારણથી કરે તે ખૂબ જરૂરી છે. આ કંપનીના માધ્યમથી ચારેય મિત્રો ખેડૂતોને પ્રેરણા આપી રહ્યા છે અને
પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરાવી રહ્યા છે. ખેતી માટે કામ કરતાં જુવાનીયાઓને અભિનંદન આપવા ઘટે. તેમનો મો.૯૮૭૯૨૧૧૫૮૫