શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ ( લવ કુશ ) ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત ગુજરાત રાજ્યના લેખકો, સાહિત્યકારો, બોર્ડ સદસ્યો, રાષ્ટ્રીય અને રાજ્ય શ્રેષ્ઠ પારિતોષિક વિજેતા શિક્ષકો તેમજ તેજસ્વી તારલાઓનો સત્કાર અભિવાદન સમારોહ હીરામણી શિક્ષણ સંકુલ, એસ.જી. હાઇવે, અમદાવાદ ખાતે ૧૩ એપ્રિલ ૨૦૨૫ના રવિવારના રોજ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા સાહેબ અગત્યના કાર્યક્રમમાં જવાનું હોવાથી આવી શક્યા ન હતા. રાજ્યસભાના સાંસદ અને શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટી નરહરિભાઈ અમીન સાહેબના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લા શિક્ષણ અધિકારી રોહિતભાઈ ચૌધરી સાહેબ અમદાવાદ શહેર અને ગ્રામ્યના કૃપાબેન ઝા ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટના અધ્યક્ષ ડો.જીતુભાઈ પટેલ સાહેબે ગુજરાતના વિવિધ સાહિત્યકારો અને લેખકોની પંક્તિઓ ટાંકીને ઉત્તમ પ્રવચન આપ્યું હતું. આવા કાર્યક્રમ સમાજને નવી દૃષ્ટિ આપે છે. શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ સામાજિક, શૈક્ષણિક અને રચનાત્મક પ્રવૃત્તિ કરે છે. જેમનું સન્માન થવાનું છે તેવો પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરે છે ત્યારે તેમને સ્ટેજ ઉપર સન્માનિત કરવામાં આવે છે.
શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ દ્વારા શ્રેષ્ઠ લેખકો, સાહિત્યકારો વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મુર્ધન્ય કેળવણીકાર ડો. મફતભાઈ પટેલ અચલા એજ્યુકેશન ટ્રસ્ટના તંત્રી, મણીભાઈ એન. પટેલ -તંત્રી જગતમિત્ર, ડો. સોમાભાઈ પટેલ -તંત્રી ધરતી માસિક, નટવરભાઈ પટેલ -સંપાદક બાલ સાહિત્યકાર, રાવજીભાઈ પટેલ (પરાગ) જાણીતા લેખક અને શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટના સંપાદક વિપુલ પટેલનું સન્માન થયું હતું. આ પ્રસંગે ડોક્ટર મફતભાઈ પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ સાથે સાહિત્યની મીમાંસા થવી જોઈએ. તેમના દ્વારા લેઉવા પાટીદારનો ઇતિહાસ અને અચલાનો વિશેષ અંક આદરણીય નરહરિભાઇને અર્પણ કરવામાં આવ્યો હતો.
જયંતીભાઈ પરમાર અને જ્યોતિબેન માનવાલાના પુસ્તકનું લોકાર્પણ થયું હતું. સમાજના ઓડિયન્સની સન્મુખ બંને લેખકોના પુસ્તકનું ભવ્ય રીતે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુ. મા. અને ઉ. મા. શિક્ષણ બોર્ડના બોર્ડ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. બોર્ડ સભ્ય મનુભાઈ પાવરા જેઓ સંગઠન તેમજ શિક્ષણના જીવ છે. રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા વિનય શશીકાંત પટેલનું ભવ્ય સન્માન શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું તેની સાથે સાથે બીજા પાંચ રાજ્ય એવોર્ડ વિજેતા શિક્ષકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આવા પાટીદાર શિક્ષકો સમાજનું ઘરેણું છે. શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસ થાય છે. તમે સમાજનું ગૌરવ વધારશો તેમજ સમાજ ઉન્નતિના માર્ગે જશે.
અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી રોહિતભાઈ ચૌધરી સાહેબે શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટના આ કાર્યક્રમને સંજીવની સમાન ગણાવ્યો હતો. સમાજના લોકોને પ્રોત્સાહિત કરવા અને જે વિદ્યાર્થીઓએ સિદ્ધિ મેળવી છે તેવા લોકોને જાહેર સ્ટેજ ઉપર બોલાવીને મોમેન્ટો, સન્માનપત્ર આપીને સોનામાં સુગંધ ભરી છે. પાટીદાર સમાજ સર્વ ક્ષેત્રે ઉન્નતિ કરી રહ્યો છે ત્યારે ગૌરવ અનુભવું છું. આવા સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમોમાં અમને પણ જવું ગમે છે. જ્યાંથી વિદ્વાન વ્યક્તિઓ દ્વારા ઘણું બધું શીખવા મળે છે. અમદાવાદ ગ્રામ્યના ડી.ઈ.ઓ. કૃપાબેન ઝા દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. તેમણે શ્રેષ્ઠ શિક્ષકો, શ્રેષ્ઠ લેખકો અને શ્રેષ્ઠ સાહિત્યકારો, બોર્ડ સભ્યોને શુભેચ્છા પાઠવી હતી.
શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ધોરણ દસ થી માંડીને ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યા વિનયથી શોભે છે. વિદ્યાર્થીઓ સમાજનું ભવિષ્ય છે. ઉચ્ચ ડિગ્રી મેળવીને સમાજની કીર્તિ સમગ્ર રાષ્ટ્રમાં પ્રસરાવો તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. પાટીદારો ધરતીના છોરું છે. વિલેજથી વિશ્વ સુધી પહોંચવાની તાકાત ધરાવે છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવક્તા પ્રિન્સિપાલ વાડીભાઈ બી. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સન્માનિત થનાર તમામ મહેમાનોને શાલ, મોમેન્ટો અને સ્મૃતિભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. નરહરિભાઈ અમીન સાહેબ તરફથી જમણવાર હતો. તેમને પોતાના પ્રાસંગિક પ્રવચનમાં માતૃભાષાનું સંવર્ધન થાય અને વિદ્યાર્થીઓ શિક્ષિત અને દીક્ષિત બને તેવો અભિગમ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને અમલીકરણ સંસ્થાના મંત્રી રમેશચંદ્ર બી. પટેલ તેમજ વસંતભાઈ કે. પટેલ (જય માતાજી) દ્વારા થયેલ હતું. આ સંસ્થાના પ્રમુખ પ્રિન્સિપાલ ભીખુભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ હીરામણી શિક્ષણ સંકુલમાં યોજવામાં આવ્યો હતો. તમામ આમંત્રિત મહેમાનોને સન્માનિત કરાયા અને ભોજન પ્રસાદ લઈને સૌ છૂટા પડ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્ટેજ ઉપર સતત મદદમાં રહેતા આશિષભાઈ પટેલ -આચાર્ય તેમજ ઓફિસમાં કામ કરતા બહેનનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. સમાપન વિધિ સંસ્થાના સંપાદક વિપુલ ડી. પટેલે કરી હતી.