ઉનાળાના વેકેશનમાં શાળાઓ શરૂ કરી શિક્ષણ જગતના અધિકારીઆને પડકાર
ઉનાળામાં સરકાર બપોરના સમયે શ્રમિકોને પણ કામમાંથી મુક્તિ આપી રહી છે તો ભુલકાઓને મુÂક્ત કેમ નહિ?
ગુજરાત સરકાર દ્વારા તારીખ ૧૨મી જૂન સુધી ઉનાળાનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે અમરેલી જિલ્લાની કેટલીક ખાનગી સ્કૂલો દ્વારા આજથી જ શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ વિદ્યાર્થીઓને એડવાન્સ તૈયારી કરાવવાના બહાના રૂપે અમુક ખાનગી શાળાઓએ તારીખ ૧ જૂનથી જ નવું સત્ર શરૂ કરી દીધું છે અને રાબેતા મુજબનું શિક્ષણ કાર્ય પણ શરૂ કરી વિદ્યાર્થીઓને સ્કૂલે પણ બોલાવી લીધા છે.
એક તરફ ઉનાળામાં સરકાર બપોરના સમયે શ્રમિકોને પણ કામમાંથી મુક્તિ આપી રહી છે ત્યારે શિક્ષણના નામે ધતિંગ ચલાવતી આવી સ્કૂલોએ આકરા તાપમાનમાં બાળકોને સ્કૂલ કાર્યમાં જોતરતા જિલ્લા શિક્ષણ અધિકારીના કાર્ય સામે પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે અને શિક્ષણ વિભાગ દ્વારા કેવી લાલિયાવાડી ચલાવવામાં આવી રહી છે તે પણ સામે આવી રહ્યું છે.
અમુક મોટી ખાનગી શાળાઓએ ઉનાળાના વેકેશન સમયમાં જ શિક્ષણ કાર્ય આદર્યું છે ત્યારે આવી ખાનગી શાળાઓ સામે સરકાર પગલાં લઈ અને તેની સામે કોઈ પ્રતિબંધ લગાવે છે કે પૈસાના જોરે આવી શાળાઓ છટકી જાય છે તે પણ જોવાનું રહ્યું.
એક તરફ સરકાર ગરમીથી બચવાની વાતો કરે છે ત્યારે બીજી તરફ નાના ભૂલકાઓને શાળાઓ આકરા તાપમાનમાં સ્કૂલે બોલાવે છે. તો આમાં સરકારે જે કાંઈ નિયમો બનાવ્યા છે તેની સામે પણ પ્રશ્નાર્થ ઉભો થાય છે.
વારે તહેવારે જાહેર રજાઓમાં પણ સ્કૂલો ચાલુ રાખતી આવી ખાનગી શાળાઓ સરકારના નીતિ નિયમોના સરેઆમ ધજાગરા ઉડાવે છે છતાં પણ શિક્ષણ વિભાગ દ્વારા તેમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે ઉનાળાના વેકેશનમાં શિક્ષણ કાર્ય શરૂ કર્યું હોય તેવી સ્કૂલો સામે આખરે કાર્યવાહી થાય છે કે ફરી વખત તેમને તંત્ર કંઈ પણ કહ્યા વિના છોડી દે છે તે જોવાનું રહ્યું.
નિયમ મુજબ વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય ચાલુ રાખી શકાતું નથી અને જો કોઈ સ્કૂલ આવું કાર્ય કરશે તો તેની સામે નિયમાનુસાર પગલાં લેવામાં આવશે.
મનોહરસિંહ ગોહિલ, જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી અમરેલી