વેરાવળની મણીબેન કોટક હાઈસ્કૂલમાં આરોગ્યપ્રદ જીવનશૈલી અંગેના વિષય પર માહિતીસભર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તજજ્ઞ ડા. ધવલ વારગીયા અને આકાશ ભટ્ટે વિદ્યાર્થીઓને આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ સેમિનાર દરમિયાન દૈનિક જીવનમાં મિલેટ્‌સ (જાડા ધાન્ય)નું આહારમાં મહત્વ, મેદસ્વિતા અને તેના ઉપાયો, પ્રાકૃતિક રીતે ઉત્પન્ન થતી ઔષધીય વસ્તુઓનો દૈનિક ઉપયોગ, તુલસી, લીમડો, ગિલોય જેવા ઔષધીય છોડનું વાવેતર, ઘર-આંગણું તથા કાર્યસ્થળ પર સ્વચ્છતા જાળવવાની જરૂરિયાત જેવા અગત્યના મુદ્દાઓ સમજાવવામાં આવ્યાં હતાં. વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનવા માટે ગ્રીન ક્લબ સ્થાપવા પ્રેરણા આપવામાં આવી હતી. પ્રાણીઓ માટે જોખમી પ્લાસ્ટિકના ઉપયોગને રોકવા માટે માર્ગદર્શન સહિત પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણના મહત્વ પર વિશેષ ભાર મૂકાયો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં ૩૪૦ થી વધુ વિદ્યાર્થી તેમજ શિક્ષક અને સ્કૂલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.