અમરેલીના વીર શહિદ જવાન મનીષ મહેતાની બીજી પુણ્યતિથિ નિમિત્તે વીર શહિદ મનીષ મહેતા મેમોરિયલ ટ્રસ્ટ અને શાંતાબા ગજેરા ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકના સહયોગથી મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમરેલીના રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી શહીદ જવાનને શ્રદ્ધાંજલિ સ્વરૂપે રક્તદાન કર્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અમરેલી નગરપાલિકાના સભ્યો, વેપારી મિત્રો, વિશ્વ હિંદુ પરિષદના હોદ્દેદારો તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ અને બ્રહ્મ સમાજના આગેવાનોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. વીર શહિદ મનીષ મહેતા મેમોરિયલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પ્રકાશ રાજગોર તથા ટ્રસ્ટ પરિવાર આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ હૃદયપૂર્વક આભાર માને છે.