વિસાવદરના મતદારોએ તેમનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીઘું છે. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલનો ભેસાણના વાંદરવડ ગામે ચૂંટણીનો પ્રવાસ હતો. તેમાં વાંદરવડ ગામના સ્થાનિકો ઉપરાંત મંડળીનાં કૌભાંડનો ભોગ બનનાર તથા પોતાના સ્વજન ગુમાવનાર લોકો સવાલો પૂછે તેમ હતા. આ સ્થીતિની ઉમેદવાર અને ભાજપના આગેવાનોને જાણ થઈ જતાં પોલીસને બોલાવી લીધી હતી. પોલીસે રજૂઆતકર્તાઓને અટકાવ્યા હતા. મામલો વધુ ન બિચકે તે માટે ઉમેદવાર કિરીટ પટેલે વાંદરવડ જવાનું ટાળ્યું હતું.
અનેક સહકારી મંડળીઓમાં કૌભાંડ થયા છે. જેમાં ભેસાણ તાલુકાના વાંદરવડ, ધારી ગુંદાળી, છોડવડી સહિતના અનેક ગામના નિર્દોષ ખેડૂતો ભોગ બન્યા છે. મૃતક ખેડૂતોના નામે લોન લેવાઈ ગઈ, જેના મંડળીમાં ખાતા નથી તેઓના નામે લોન ઉધારાઈ ગઈ આવી સ્થીતિના કારણે થોડા સમય પહેલા વાંદરવડના એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી હતી. મંડળીના કૌભાંડોમાં ભાજપના આગેવાનો અને જેડીસીસી બેંકના ચેરમેન કિરીટ પટેલ સામે આક્ષેપો થઈ રહ્યા છે.
ઉમેદવાર તરીકે કિરીટ પટેલ આજે સવારે વાંદરવડથી પોતાના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવાના હતા. આ અંગેની વાંદરવડના લોકોને જાણ થઈ જતા જે વ્યક્તિએ મંડળીના કૌભાંડના લીધે આત્મહત્યા કરી છે, તેના પરિવારજનો તથા ભોગ બનનાર અન્ય ખેડૂતો તેની રજુઆત માટે તેની રાહ જાઈ ઉભા હતા. કિરીટ પટેલ આવે તે પહેલાં ભાજપના અન્ય આગેવાનો વાંદરવડ પહોંચ્યા હતા. તેમને સ્થાનિકો ‘કિરીટ પટેલ ક્યાંરે આવે છે, તેને અમારે રજૂઆત કરવી છે, અમારે ન્યાય જાઈએ છે’ એમ કહેતા હતા ત્યાં પોલીસના ધાડેધાડાં આવી ગયા હતા. પોલીસે રજુઆતકર્તાઓને ધમકાવ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.
આ મામલો વધુ ઉગ્ર બને તેવી સ્થિતિ હોવાથી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે વાંદરવડ જવાનું ટાળ્યું હતું અને થોડીવારમાં ભાજપના આગેવાનો પણ ત્યાંથી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ સ્થાનિકોએ આ અંગે ‘આપ’ના ઉમેદવારને જાણ કરતાં તે ત્યાં પહોંચ્યા હતા તથા આત્મહત્યા કરનારના પરિવારજનો અનેભોગ બનનાર અન્ય ખેડૂતો સાથે મુલાકાત કરી હતી.










































