લોભિયા હોય, ત્યાં ધૂતારા ભૂખે ન મરે”આ ગુજરાતી કહેવત ફરી એકવાર સાચી પડી છે.વિરમગામના એક વેપારી અંધશ્રદ્ધાનો શિકાર બન્યો અને મહિલા તાંત્રિકના હાથે રૂ. ૬૭.૨૧ લાખની ઠગાઈનો ભોગ બન્યો. આ ઘટનાએ સમાજમાં અંધશ્રદ્ધા અને છેતરપીંડીના મુદ્દાને ફરી ચર્ચામાં લાવ્યો છે. પોલીસે આ કેસમાં ઝડપી કાર્યવાહી કરી આરોપી મહિલાની ધરપકડ કરી, તેના કારસ્તાનનો પર્દાફાશ કર્યો છે.

વિરમગામના એક પ્રતિષ્ઠિત વેપારીને ગોધરાની એક મહિલા, જેણે પોતાને તાંત્રિક તરીકે રજૂ કરી, તેનો વિશ્વાસ જીતી લીધો. આ મહિલાએ વેપારીને ખોટા દાવાઓ અને તાંત્રિક વિધિઓના નામે ફસાવ્યો. તેણે વેપારીને એવું ભરમાવ્યું કે તેના જીવનની સમસ્યાઓ અને નાણાકીય અડચણો દૂર કરવા માટે ખાસ પૂજા અને તાંત્રિક ક્રિયાઓ જરૂરી છે. આ વિશ્વાસમાં આવીને વેપારીએ મહિલાને રૂ. ૪૪.૭૧ લાખના ઘરેણાં અને રૂ. ૨૨.૫૦ લાખ રોકડા સહિત કુલ રૂ. ૬૭.૨૧ લાખની રકમ આપી દીધી.

મહિલા તાંત્રિકે વેપારીને આપેલા ખોટા વચનો અને ઢોંગથી આખી રકમ પડાવી લીધી. શરૂઆતમાં વેપારીને લાગ્યું કે આ વિધિઓથી તેની સમસ્યાઓ ખરેખર હલ થશે, પરંતુ જ્યારે કોઈ પરિણામ ન મળ્યું અને મહિલા સતત વધુ રકમની માગણી કરવા લાગી, ત્યારે વેપારીને છેતરપીંડીની શંકા જાગી. આખરે, તેણે પોલીસનો સંપર્ક કર્યો.વેપારીની ફરિયાદના આધારે વિરમગામ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી.