વિંછીયાના થોરીયાળી ગામના ઘનશ્યામભાઈ રાજપરાએ ગામના જ રબારી સમાજના લોકો સામે લેન્ડ ગ્રેબિન્ગની અરજી કરી હતી. તેનો ખાર રાખી આરોપીએ ઘનશ્યામભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જે બનાવ બાદ વિંછીયા મામલતદાર કચેરી ખાતે આરોપીની તાત્કાલિક ધરપકડ થાય અને બીજી માંગણીઓ સબબ કોળી સમાજના લોકો ધરણા પર બેસી ગયા હતા. જો કે ગઈકાલે દિવસ દરમિયાન કોળી સમાજના આગેવાનોએ આરોપીની તાત્કાલિક ધરપકડ કરવી, આરોપીએ સરકારી જગ્યામાં ખડકી દીધેલા મકાન દૂર કરવા જેવી તંત્ર પાસે માંગણી કરી હતી. ત્યારે સાંજે કલેક્ટરે પરિવારજનોની અને સમાજના આગેવાનોની વ્યાજબી માંગણી પૂરી થશે તેવી ખાતરી આપતા ગઈકાલે સાંજે આ બનાવનો સુખદ અંત આવ્યો હતો અને છેલ્લા ૨ દિવસથી હત્યાનો ભોગ બનનાર ઘનશ્યામભાઈ રોજાસરાના મૃતદેહને પરિવારજનોએ સ્વીકારી થોરીયાળી ગામે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અગ્નિસંસ્કાર કર્યા હતા. દરમિયાન આ હત્યાના મુખ્ય આરોપી શેખા ગભરૂભાઇ સાંબડને ઝડપી લેવા વિંછીયા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી હતી. જેમાં હત્યાનો મુખ્ય આરોપી શેખા સાંબડ ચોટીલા પંથકમાં હોવાની બાતમી મળતા તેને દબોચી લેવાયો હતો. બીજા ર આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.