શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા આયોજિત ૯૫મા થર્સ-ડે થોટ કાર્યક્રમમાં વક્તાઓએ મહત્વના વિચારો રજૂ કર્યા હતા. કાનજી ભાલાળાએ પ્રતિભા કેળવવા માટે વાંચન, ચિંતન અને મનન પર ભાર મૂક્યો અને જણાવ્યું કે અવલોકન, વાંચન અને કલ્પના જ સમસ્યાનું સમાધાન શોધે છે. તેમણે કુદરતી સહજ જીવન અને જનહિતને જીવન ઘડતરનો પાયો ગણાવ્યો હતો. માત્ર ૧૭ વર્ષની ઉંમરે ઇસરોમાં જુનિયર સાયન્ટિસ્ટ બનેલા જયનીલ ગીરનારે જ્ઞાનના સ્ત્રોત તરીકે સનાતન ધર્મના પુસ્તકોનું મહત્વ જણાવ્યું હતું. તેમણે રાષ્ટ્ર માટે શ્રેષ્ઠ કર્મ કરવાની વાત કરી અને ભવિષ્યમાં ભારતની આર્થિક પ્રગતિ વિશે આશા વ્યક્ત કરી. તેમણે યુવાધનને મોબાઈલ અને સોશિયલ મીડિયાથી દૂર રહેવાની સલાહ આપી. કાર્યક્રમમાં એચ.વી. વિદ્યાલયના ટ્રસ્ટી દિનેશભાઈ ગોંડલીયાએ જયનીલની સિદ્ધિઓને બિરદાવી હતી. આ પ્રસંગે દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કૌશલ વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.