અમેરિકા સાથેના ટેરિફ વિવાદ વચ્ચે, ભારત અને ચીન વચ્ચે સરહદી વેપાર ફરી શરૂ કરવા માટે દ્વિપક્ષીય વાટાઘાટો શરૂ થઈ ગઈ છે. પાંચ વર્ષથી બંધ પડેલો આ વેપાર હવે ફરીથી શરૂ થઈ શકે છે, જેને બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવાની પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ પહેલ તરીકે જાવામાં આવી રહી છે. સમાચાર અનુસાર, ચર્ચા હજુ પણ પ્રારંભિક અને ગુપ્ત સ્તરે ચાલી રહી છે. બંને દેશોએ મર્યાદિત સરહદી વેપાર માર્ગો દ્વારા વેપાર શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્્યો છે. આ અંગે પ્રતિક્રિયા આપતા, ચીનના વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે બેઇજિંગ આ મુદ્દા પર ભારત સાથે વાતચીત અને સહયોગ વધારવા માટે તૈયાર છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે સરહદી વેપારે વર્ષોથી બંને દેશોના સરહદી વિસ્તારોના રહેવાસીઓના જીવનને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

ભારત અને ચીન વચ્ચે ત્રણ દાયકાથી મર્યાદિત સરહદ વેપાર ચાલી રહ્યો છે, જેમાં મસાલા, કાર્પેટ, લાકડાના ફર્નિચર, ઔષધીય છોડ, માટીકામ, પશુ આહાર, ઊન અને ઇલેક્ટ્રોનિક સામાન જેવા સ્થાનિક માલનો વ્યવહાર થતો હતો. આ વેપાર ૩,૪૮૮ કિમી લાંબી વિવાદિત હિમાલય સરહદ પર ત્રણ નિશ્ચિત બિંદુઓથી કરવામાં આવ્યો હતો. સરકારી માહિતી અનુસાર, ૨૦૧૭-૧૮માં આ વેપારનું કુલ મૂલ્ય લગભગ ઇં૩.૧૬ મિલિયન હતું. ભલે તેનો સ્કેલ નાનો હતો, તે સ્થાનિક અર્થતંત્ર માટે ઉપયોગી સાબિત થયો.

કોવિડ-૧૯ મહામારી દરમિયાન બંને દેશો વચ્ચે સરહદી વેપાર બંધ થઈ ગયો હતો. આ સમયગાળા દરમિયાન, ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણે પરિસ્થિતિને વધુ ખરાબ કરી હતી. ૨૦૨૦ માં આ ઘટનામાં ૨૦ ભારતીય સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે ઓછામાં ઓછા ૪ ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા. આ પછી, બંને દેશો વચ્ચેના સંબંધોમાં ગંભીર તણાવ જાવા મળ્યો હતો.

તાજેતરના મહિનાઓમાં, બંને પક્ષોએ તણાવ ઘટાડવા માટે ઘણા રાજદ્વારી પગલાં લીધા છે. એક અહેવાલ મુજબ, ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ કામગીરી પણ ટૂંક સમયમાં ફરી શરૂ થઈ શકે છે. ઉપરાંત, ચીને ભારતમાં ખાતર નિકાસ પરના કેટલાક પ્રતિબંધો હળવા કર્યા છે, જે સંબંધોમાં સુધારાનો સંકેત છે. આ પહેલ એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધો તણાવપૂર્ણ છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાંથી નિકાસ થતા ઉત્પાદનો પર ૫૦% સુધીની ડ્યુટી લાદી છે, જે અન્ય એશિયન દેશો કરતા ઘણી વધારે છે.