હવામાન ખાતાની આગાહી અનુસાર અમરેલી જિલ્લામાં તા.૧૬ મે, ૨૦૨૪ સુધી કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. હવામાન ખાતાની આ આગાહીના પગલે બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોએ તૈયાર થયેલા ફળ અને શાકભાજી ઉતારી લેવા. તૈયાર ખેત પેદાશો સલામત સ્થળે ખસેડી લેવી, આંબાના બગીચા ધરાવતા ખેડૂતોએ આંબાવાડિયામાં કોઈ પણ રાસાયણિક/સેન્દ્રિય ખાતર કે હોર્મોન્સના છંટકાવ કરવા નહિ. વાદળછાયું વાતાવરણ અથવા વરસાદ પછી તાત્કાલિક ભૂકી છારા જેવા રોગ લાગવાની શક્યતાઓ રહેલી છે જેના નિયંત્રણ માટે બગીચામાં અવલોકન કરતાં રહેવું અને જરુર જણાય તો કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ રોગ-જીવાત નિયંત્રણનાં તકેદારીના યોગ્ય પગલા લેવા અમરેલી નાયબ બાગાયત નિયામકે એક યાદીમાં અનુરોધ કર્યો છે.