ચોમાસુ જામી ગયું છે. એક જમાનો હતો કે પાછલી પેઢી એની જુવાનીમાં કોથળા ઓઢીને લપસણી શેરીઓમાં ભરવરસાદે દૂધ કે કરિયાણું લેવા જતી હતી. એ દિવસોમાં સળંગ પંદર દિવસની હેલી વરસતી. હવે માણસના મન બદલાઈ ગયા એટલે મેઘો પણ બદલાયો. ખરેખર વ્યક્તિગત રીતે દરેક મનુષ્ય આત્મદર્શન કરે કે કોરોનાના આગમન પછી એણે પોતાની જીવનશૈલીને કેટલીક બદલાવી તો ખ્યાલ આવશે કે અભિજાત લક્ષણો એમ થોડાક ગોથા ખાવાથી બદલાતા નથી. મૃત્યુના ભયથી ડરતા ડરતા રોજ ઉકાળાઓ ગટગટાવવા એ કંઈ પ્રકૃતિ કે પર્યાવરણ સાથેની દોસ્તી નથી. શરીરને નુકસાનકારક જે કંઇ આહાર છે તે અટકાવવાની વાત બહુ શરૂઆતથી વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહી હતી. જો એવા ત્યાજ્ય આહારનો ઉપયોગ અટકે તો જ એના ઉત્પાદનો બંધ થાય. અનેક વસ્તુઓ એવી જે એની મર્યાદામાં શોભનીય છે.
મર્યાદા બહારના આહાર શરીરની ભીતર દુર્ઘટના નોંતરે છે જે ડાક્ટર જ જોઈ શકે કે સાંભળી શકે. કોરોનાએ ઈમ્યુનિટીને પડકારેલી છે ને સરેરાશ ભારતીય પ્રજાની ઈમ્યુનિટીને દુનિયા આજે વખાણે છે. જો કે જેટલા મૃત્યુ છેલ્લા એક-બે વરસમાં થયા એ દુઃખદ છે. જિંદગી અલ્પવયે સમેટાઇ જાય ત્યારે સપનાઓની એક લાંબી વણઝાર પણ દિવંગત થઈ જતી હોય છે. મૃત્યુ સંસારનો સૌથી કારમો ઘા છે. જેમણે કોરોનામાં સ્વજનો ગુમાવ્યા છે તેઓના પર હજુ પણ શોકના વાદળો છવાયેલા જોવા મળે છે. મૃત્યુ સહુ કોઈનું નક્કી છે પણ અકારણ અને આકસ્મિક મૃત્યુ પરિવારને આઘાત આપે છે. એવો આઘાત જે ડગલે ને પગલે આગળની જિંદગીમાં અનુભવાય છે.
એકવીસમી સદીના ત્રીજા એટલે કે નવા દાયકાની શરૂઆત જ હજારો-લાખો એકરના સળગતા જંગલો વચ્ચે થઈ હતી. પચાસ હજાર ચોરસ કિલોમીટરની આગથી થયેલા નુકસાનનો હિસાબ કરતા ઓસ્ટ્રેલિયન સરકારને એક વરસ લાગ્યું. કચ્છના અને લાતૂરના ભૂકંપનો હિસાબ કરતા આપણને પણ એક વરસ લાગ્યું હતું. સહેજ પણ ચિંતા વિના લોકો જિંદગી પસાર કરે છે. જે ચિંતા છે તે પોતાની અંગત છે. પર્યાવરણની નથી. આપણી માનસિકતા એવી છે કે ઓસ્ટ્રેલિયન જંગલો સળગ્યા પણ એ આગ અહીં થોડી આવવાની છે ? પરંતુ એ આગ અહીં આવી શકે છે. કારણ કે આ આગ પૃથ્વી નામના આપણા સહિયારા ઘરમાં લાગેલી આગ છે. કોઈ બીજા ગ્રહ કે ઉપગ્રહ પરનો આ ધૂમાડો નથી. સંયુક્ત રાષ્ટ્રસંઘ અંતર્ગતના વિશ્વ મોસમ સંગઠનના નવા અહેવાલો આમ તો માણસ જાતની ઊંઘ ઉડાડવા માટે પૂરતા છે.
ઈસુનું આ નવું ૨૦૨૫નું વરસ અરધું તો વીતી ગયું અને હવે પછી આવનારા તમામ વરસોમાં કુદરત રુઠેલી રહેવાની છે. એક વાત એ ધ્યાનમાં લેવા જેવી છે કે દરેક આપત્તિમાં હવે બચાવ કામગીરી ધીમી પડતી જાય છે. એટલે કે કુદરતી સંકટ આત્યંતિક હોય છે. હવે કુદરત આગાહીઓને વશ નથી. ભલે હવામાન ટેકનોલોજી વધી પરંતુ અંદાજ ખોટા પડે છે. પૂનાની વેધશાળાએ ગયા કારતકમાં સ્પષ્ટ કહ્યું હતું કે આ વખતે શિયાળો હૂંફાળો રહેવાનો છે, બહુ ઠંડી તો પડવાની જ નથી ! એ વિધાનો સાવ અવૈજ્ઞાનિક સાબિત થયા અને શિયાળો નિયમસરનો કાતિલ નીવડ્યો હતો. હવે ચોમાસાએ એનો અસલી રંંગ બતાવ્યો છે. વરસાદની એક જ છાલક આપડને રોમાંચિત કરી મૂકે છે. ઘડીભર બધું ભૂલીને આકાશને આપડે તાકી રહીએ છીએ. શેરીઓ બોલી ઉઠે છે કે વરહ્ય વરહ્ય્ મહારાજ વરહ્ય મારા બાપલિયા…!
જો કે ગ્લોબલ વોર્મિંગનો તો અર્થ જ એ છે કે ખૂબ જ ઠંડી અને અસહ્ય ગરમી. આમ પણ મોસમનું ચક્ર જુઓ તો હજુ એક મહિનો ઠંડા પવનના સૂસવાટા સાંભળવાના છે. વૈજ્ઞાનિકોએ એમ કહ્યું હતું કે ઉનાળામાં વાયરસનો આતંક સાવ ઘટી જશે એના બદલે ગત એપ્રિલ – મે સમયે તો કોરોનાની બીજી લહેરે ઠેરઠેર મોતના માતમથી સન્નાટો બોલાવી દીધો ને આખો સમાજ હિબકે ચડ્યો. એમાંય વૈજ્ઞાનિકોની આગાહી ખોટી પડી.
આ વખતે મહારાષ્ટ્રમાં મેઘરાજાએ તાંડવ ખેલ્યું છે ને સો-સવાસો નિર્દોષ લોકો વરસાદને કારણે માર્યા ગયા છે. કોઈ મોસમ એના અતિરેકને કારણે માણી શકાય નહિ. ઠંડા પવનના શોખીનો શિયાળાની મોસમમાં જો વનવગડે અલગારીની રખડપટ્ટી આરંભે તો તેઓએ આરોગ્યની પછડાટ જ વેઠવાની આવે. કુદરતને માણવાની મઝા પણ ઓછી થવા લાગી છે કારણ કે એ કુદરતના ઉછેર અને સંભાળમાં આપણું તો કોઈ યોગદાન નથી ! પ્રકૃતિ એને જ રમણીય અનુભવ અને આહલાદનો અનુભવ કરાવશે કે જે એના અભિમુખ હશે. આખી જિંદગી કુદરતી સંપદા સાથે માત્ર ભોગવાદી નીતિ રાખનારાઓએ એની સજા ભોગવવી પડશે.
ગયા શિયાળે મધ્યમ વર્ગના અને ભાડાના મકાનમાં વસતા લોકો દોડી દોડીને રૂમ હિટર લઈ આવ્યા હતા. ગેસ ગિઝર અને ઈલેક્ટ્રિક ગિઝર સંબંધિત દુર્ઘટનાઓ અવારનવાર વાયરલ થતી હોવા છતાંય એનું વેચાણ પણ મંદીમાં એકાએક વધી ગયું હતું. મહારાષ્ટ્રમાં વરસાદ રોકાતો નથી એટલે છત્રી અને રેઈનકોટની બોલબાલા છે. મોસમનો આહલાદ હવે બધા માણી શકે એમ નથી. કુદરતે તેના તમામ સર્જનોમાં મનુષ્યને મુઠી ઉંચેરુ સ્થાન આપતાં તેને બુદ્ધિરુપી વિશેષતા બક્ષી છે. આ જ બુદ્ધિને બળે મનુષ્ય પોતાને માટે, કુદરતના તમામ સર્જનોને માત્ર ને માત્ર પોતાની ભૌતિક સુખ-સુવિધાના સાધનો જ માની લીધા છે. તેને વિનામૂલ્યે મળેલી અમૂલ્ય પ્રાકૃતિક સંપદાના વપરાશમાં તે કોઈ પ્રમાણભાન જાળવી શક્યો નથી.
જેના કારણે કુદરતનું જે ચક્ર અત્યાર સુધી એક સુવ્યવસ્થિત ગતિએ ચાલી રહ્યું હતું, તેમાં હવે થોડા થોડા અંતરાયો આવવા માંડ્યા છે. રૌદ્ર એ પણ કુદરતનું એક સ્વરૂપ છે. પોષતું તે જ મારતું નું બ્રહ્મ-સનાતન-સત્ય જાણે આવનારા ભવિષ્યની વાસ્તવિકતા બનીને આજે સમસ્ત માનવ સમાજની સામે આવીને ઊભું છે. જે પ્રકારે ઘરવપરાશના યંત્રોની પણ સમયાંતરે જાળવણી કરવામાં ન આવે તો, જે સ્થિતિ સર્જાય છે, તેવી જ સ્થિતિ હાલ વૈશ્વિક વાતાવરણમાં જોવા મળી રહી છે. જાપાનના પર્યાવરણવિદોએ કહ્યું છે કે કુદરતને પોતાના સાવ સ્વાભાવિક ક્રમમાં આવવા માટે આ આખી સદીની જરૂર પડશે, એટલો બધો ઉપદ્રવ માણસે વસુંધરા પર આચરેલો છે.
હવાના બદલાયેલા રુખ અને પ્રકૃતિના મિજાજમાં આવેલા પરિવર્તનને પામી ગયા પછી સમયવર્તે સાવધાન થવાની આ ઘડી છે. કેલેન્ડરમાં દેખાતા મહિનાને અને વાતાવરણ વચ્ચેની સંગતતા હવે ખૂબ જ ઓછી જોવા મળશે. ક્યારેક અનરાધાર વરસાદ, તો કદીક અચાનક જ ઘેરી વળતી કાતિલ ઠંડી અને તડાતડ પડતા કરાને જોઈને ઘણી અનુભવી આંખો આશ્ચર્યથી પહોળી થઈ જતી હોય છે. રણ પ્રદેશમાં નદીઓ વહી જાય તેટલો વરસાદ અને લીલાછમ્મ વિસ્તારનું ધૂળિયા રંગમાં રુપાંતર એ વાતનો સંકેત છે કે કુદરતે હવે મનુષ્ય સાથેનો તેનો હિસાબનો ચોપડો ખોલી નાંખ્યો છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના નેજાતળે કામ કરતા સંશોધકોના જૂથે ગહન અભ્યાસ પછી જાહેર કર્યું છે કે વીતેલો દાયકો ધગધગતો હતો. માણસજાતના ઈતિહાસમાં ઈ. સ. ૨૦૧૦ થી ઈ. સ. ૨૦૧૯ સુધીનો એક દાયકો બહુ ઊંચા ઉષ્ણતામાનમાં પસાર થયો છે. આ સંશોધકોએ કહ્યું કે ભીષણ ગરમી અને વિકરાળ ઠંડી માટે દુનિયાના દરેક દેશે તૈયાર રહેવું પડશે. પૃથ્વીના સરેરાશ તાપમાનમાં એટલો વધારો થયો છે કે જળ, વાયુ, જંગલો, નદીઓ, સરોવરો અને કૃષિમાં વિવિધ ઉથલપાથલ મચેલી છે અને હવેના વરસોમાં એમાં નવી અને અકલ્પિત અરાજકતાઓ વિશ્વસમુદાયે જોવાની છે.














































