જાફરાબાદના દરિયા કિનારે અને વઢેરાથી નજીક આવેલ વરૂડી માતાના મંદિરે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જાફરાબાદના કડીયાળી ગામેથી ઠાકોરજીની જાન આવી હતી. કડીયાળી ગામથી આ જાન સાત-આઠ શણગારેલા અશ્વ સાથે ઠાકોરજીના રથ સાથે આવી હતી. ઠાકોરજીની જાનને રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના ફાર્મ હાઉસ ખાતે ઉતારો આપવામાં આવ્યો હતો. ધારાસભ્ય દ્વારા તુલસી માતાની દરેક ગોયણી( કુમારિકાઓ)ને ભેટ આપવામાં આવી હતી. વર પક્ષે બાબુભાઈ ભાભાભાઈ મકવાણાએ ઠાકોરજીને આનંદ અને ઉલ્લાસ સાથે સમસ્ત ગામની સાથે રહી અને તુલસીજી સાથે લગ્ન મંડપમાં લાવ્યા હતા. કન્યા પક્ષે વઢેરા ગામના આગેવાન અને એસએમસી અધ્યક્ષ હમીરભાઈ કોટડીયા દ્વારા તુલસીજીના વાજતે ગાજતે લગ્ન કરાવ્યા હતા. આ લગ્નમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને લગ્ન દરમિયાન રામાપીરના આખ્યાનનું પણ આયોજન કરાયું હતું. આસપાસના ગામના સરપંચો, આગેવાનો, કરસનભાઈ ભીલ તથા તાલુકા પંચાયતના પ્રમુખ બાલાભાઈ કોટડીયા, તાલુકા ભાજપ પ્રમુખ દિનેશદાદા, નાજભાઈ બાંભણિયા, વઢેરાના સરપંચ લખમણભાઈ તેમજ કડિયાળીના સરપંચ સવજીભાઈ મકવાણા સહિત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.