વડોદરામાં હત્યાનો સીલસીલો અટકવાનું નામ લેતો નથી. છેલ્લા ૧૦ દિવસમાં વડોદરામાં હત્યાનો ચોથો બનાવ બન્યો છે. વાઘોડિયા, કરજણ અને પાદરામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો નથી ત્યાં જ સાવલીના ટુંડાવમાં એક યુવકની હત્યા નીપજાવી દેવામાં આવી છે. કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા ૩૩ વર્ષીય યુવક રાહુલ સોનીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસે લાશને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.મળેલી માહિતી પ્રમાણે, સાવલી તાલુકાના ટુંડાવ સાવલી રોડ નજીકની ખુલ્લી જગ્યામાંથી મંજુસર પોલીસને મૃતદેહ મળ્યો હતો.
પોલીસની તપાસમાં મૃતક વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી વૈકુંઠ સોસાયટીનો રહેવાસી રાહુલ રાજેન્દ્રકુમાર સોની (ઉં.વ. ૩૩) હોવાનું ખૂલ્યું હતું. પોલીસને મૃતદેહ પાસેથી મોટરસાઇકલ પણ મળી છે. પોલીસે મૃતદેહ અને મોટરસાઇકલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.મંજુસર પોલીસ મથકના પીઆઇ સિસોદિયાએ જણાવ્યું હતું કે મૃતક રાહુલ સોની કેટરિંગનો વ્યવસાય કરતો હતો. ત્રણ વર્ષ પહેલાં તેના છૂટાછેડા થયા હતા. રાહુલ સોનીનાં પરિવારજનોને બનાવની જાણ કરતાં આવી પહોંચ્યાં હતાં.
હાલ વડોદરા સયાજી હોસ્પિટલમાં મૃતકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં મૃતકને લાકડીઓ જેવાં હથિયારોથી માર મારવામાં આવતાં મોત નીપજ્યું હોવાનું જણાય છે છતાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ બહાર આવશે.કેટરિંગનો વ્યવસાય કરતા ૩૩ વર્ષીય રાહુલ સોનીની હત્યા થઇ હોવાની વાત સુભાનપુરા વૈકુંઠ સોસાયટી વિસ્તારમાં થતાં ચકચાર મચી ગઇ હતી. રાહુલ સોનીની હત્યા કોણે કરી અને શા માટે કરી એ અંગે મંજુસર પોલીસે તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવે એવી શક્્યતા છે.
૧૭ એપ્રિલે પાદરા તાલુકાના ચોકારી ગામના કૃષ્ણનગર વિસ્તારમાં ૭૦ વર્ષના વૃદ્ધ કુબેરભાઈ જબુરભાઈ ગોહિલની નિર્મમ રીતે હત્યા કરવામાં આવી હતી. વૃદ્ધની હત્યા કર્યા બાદ હુમલાખોરો તેમના શરીરથી માથું અલગ કરીને સાથે લઈ ગયા હતા, જાકે પોલીસની ઘનિષ્ઠ તપાસ બાદ માથું મળ્યું હતું, પરંતુ આ ક્રૂર હત્યા કરનારા હત્યારાઓ ફરાર છે. પોલીસને હજુ સુધી કોઇ સગડ મળ્યા નથી.
૧૯ એપ્રિલે કરજણ જૂના બજારમાં મોહંમદઆરીફ ખાન ફતેમોહંમદ ખાન બીજી પત્ની અફસાનાબાનુ સાથે રહેતો હતો. પતિ કામ પર હતો એ દરમિયાન તેની પત્નીને ગળાટૂંપો આપી હત્યા કરી હત્યારાઓ ફરાર થઇ ગયા હતા. કહેવાય છે કે પરિણીતાની હત્યા તેના પૂર્વ પ્રેમીએ અન્ય સાગરીતોની મદદ લઇ કરી છે. કરજણ પોલીસે હત્યાના આ બનાવ અંગે હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે.
૧૯ એપ્રિલે જ હત્યાનો બીજા બનાવ વાઘોડિયા તાલુકાના વેસણિયા ગામની સીમમા ૪૫ વર્ષીય મહિલા રમીલાબેન બળવંતભાઈ પરમારની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યારાઓએ મૃતદેહને ખેતરમાં જ મકાઈના પુડાના ઢગ નીચે સંતાડી ફરાર થઇ ગયા હતા. આ બનાવમાં પારિવારિક ઝઘડો કારણભૂત મનાઇ રહ્યું છે, જાકે વાઘોડિયા પોલીસ હત્યારાઓને પકડી શકી નથી.