અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાએ વડિયા ખાતે તમામ અધિકારીઓની એક બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે અગાઉ યોજાયેલા લોકદરબારમાં રજૂ થયેલા પ્રશ્નોના નિરાકરણની સમીક્ષા કરી હતી. વેકરીયાએ દરેક અધિકારી પાસેથી તેમની કામગીરીનો હિસાબ માંગ્યો હતો. જે વિભાગોમાં કામગીરી ધીમી જણાઈ, તેમને તુરંત કાર્ય પૂર્ણ કરવા માટે કડક સૂચના આપવામાં આવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે ટૂંક સમયમાં ફરી લોકદરબાર યોજાશે, અને જો અગાઉના પ્રશ્નો ફરી રજૂ થશે તો સંબંધિત અધિકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગત ૩ ઓગસ્ટના રોજ વડિયા ખાતે યોજાયેલા લોકદરબારમાં અનેક સ્થાનિક સમસ્યાઓ રજૂ થઈ હતી. તે સમયે વેકરીયાએ દરેક વિભાગના અધિકારીઓને સમયમર્યાદામાં પ્રશ્નોનો નિકાલ લાવવા સૂચના આપી હતી. યુવા ધારાસભ્ય તરીકે વેકરીયાની આ પહેલને સ્થાનિક લોકોએ આવકારી છે. અનેક લોકોએ જણાવ્યું કે વર્ષો બાદ તેમને એક એવા ધારાસભ્ય મળ્યા છે જે તેમની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ છે અને ઝડપી નિરાકરણ માટે પ્રયત્નશીલ છે. આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.