સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની નિમણૂક પર, વંતારાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે અમે પારદર્શિતા અને કાયદાનું સંપૂર્ણ પાલન કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે સુપ્રીમ કોર્ટના આદેશનું ખૂબ આદર સાથે સ્વાગત કરીએ છીએ. અમારું મિશન અને ધ્યાન પ્રાણીઓના બચાવ, પુનર્વસન અને સંભાળ પર રહેશે. અમે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમને સંપૂર્ણ સહયોગ આપીશું અને અમારા તમામ પ્રયાસોના કેન્દ્રમાં પ્રાણીઓના કલ્યાણને રાખીને પ્રામાણિકતા સાથે અમારું કાર્ય ચાલુ રાખીશું. અમે વિનંતી કરીએ છીએ કે આ પ્રક્રિયા કોઈપણ અટકળો વિના અને અમે જે પ્રાણીઓની સેવા કરીએ છીએ તેમના શ્રેષ્ઠ હિતમાં થવા દેવામાં આવે.
એસઆઇટીની રચના થયા પછી, વંતારા પ્રાણીશાસ્ત્રીય બચાવ અને પુનર્વસન કેન્દ્રે મંગળવારે જણાવ્યું હતું કે સંસ્થા સહયોગ કરશે અને પ્રાણીઓને બચાવવા અને પુનર્વસન કરવાનું ચાલુ રાખશે. વંતારાએ કહ્યું કે સંસ્થા કાયદાનું પાલન કરશે.
હકીકતમાં, કોલ્હાપુરથી જામનગરના વંતારા અભયારણ્યમાં રાધે કૃષ્ણ મંદિર હાથી કલ્યાણ ટ્રસ્ટમાં મંદિર હાથી ‘મહાદેવી’ ને ટ્રાન્સફર કરવાને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે ગુજરાતના જામનગરમાં વંતારા વન્યજીવન બચાવ અને પુનર્વસન કેન્દ્રની તપાસ કરવામાં આવે. કોર્ટે આ તપાસ માટે ૧૦ સભ્યોની જીં્ ની રચના કરી છે.
તમને જણાવી દઈએ કે સોમવારે, સુપ્રીમ કોર્ટે ગુજરાતના જામનગરમાં વંતારા એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરમાં ગેરકાયદેસર રીતે પ્રાણીઓના સંપાદન અને દુર્વ્યવહારના આરોપોની તથ્ય-શોધ તપાસ કરવા માટે જસ્ટીસ જસ્તી ચેલમેશ્વરની આગેવાની હેઠળ એક ખાસ તપાસ ટીમની રચના કરી હતી. જસ્ટીસ પંકજ મિથલ અને જસ્ટીસ પ્રસન્ના બી. વરાલેની બેન્ચે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમને ૧૨ સપ્ટેમ્બર સુધીમાં તેની તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કેસની આગામી સુનાવણી ૧૫ સપ્ટેમ્બર માટે નક્કી કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચાર સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ વન્યજીવ સંરક્ષણ કાયદાઓનું પાલન, આંતરરાષ્ટ્રીય વેપાર નિયમો, પ્રાણી કલ્યાણ ધોરણો અને પર્યાવરણીય ચિંતાઓ જેવા મુદ્દાઓ પર પણ તપાસ કરશે અને રિપોર્ટ આપશે.









































