ગાઝિયાબાદ લોનીના કંચન પાર્ક કોલોનીથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં એક ઘરમાં આગ લાગવાથી ત્રણ બાળકો અને એક મહિલાના મોત થયા છે. આ ચારેયના મૃત્યુનું કારણ આગમાં બળી જવું અને ધુમાડાને કારણે ગૂંગળામણ હોવાનું કહેવાય છે. જે સમયે આ અકસ્માત થયો તે સમયે ઘરમાં ૮ લોકો હાજર હતા. બાકીના લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. જાકે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, જે ઘરમાં આગ લાગી હતી ત્યાં સિલાઈ મશીનો લગાવેલા હતા. કદાચ ત્યાં સીવણકામ થતું હશે. આ ઘર એક સાંકડી ગલીમાં આવેલું હતું અને ૫૦ યાર્ડમાં બનેલું ત્રણ માળનું મકાન હતું. આગ એટલી ભીષણ હતી કે તે બીજા અને ત્રીજા માળ સુધી પહોંચી ગઈ. આગ લાગવાનો સમય રાત્રિનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેના કારણે લોકોનું કહેવું છે કે મૃતકોને આગની જાણ નહોતી અને તેમનું મૃત્યુ ગૂંગળામણને કારણે થયું છે.
ગાઝિયાબાદમાં એક ઘરમાં આગ લાગવાની એક મોટી ઘટનામાં, એક જ પરિવારના ચાર સભ્યોના શ્વાસ રૂંધાવાથી મોત થયા. માહિતી મળતાં જ પોલીસ અને ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ઘાયલોને હોસ્પિટલ મોકલી દીધા છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, પોલીસ કહી રહી છે કે પરિવારના ૮ સભ્યો ઘરમાં હતા. આમાંથી ૪ મૃત હાલતમાં મળી આવ્યા છે, મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. ચીફ ફાયર ઓફિસર રાહુલ પાલે જણાવ્યું હતું કે માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જાણવા મળ્યું કે આગ રાત્રે લાગી હતી અને ઘરમાં સૂતા લોકો તેમાં ફસાઈ ગયા હતા. ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા હતા અને અન્ય ચાર લોકોને સામાન્ય ઇજાઓ થઈ હતી. બધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સીએફઓએ ૪ લોકોના મોતની પુષ્ટિ કરી છે.