સંસદના બજેટ સત્રનો બીજા તબક્કો ૯ માર્ચથી શરૂ થવાનો છે. આ દિવસે, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને તેમના પદ પરથી દૂર કરવાના વિપક્ષના પ્રસ્તાવ પર ચર્ચા થશે. આ સમયગાળા દરમિયાન, ઓમ બિરલા કાર્યવાહીનું નેતૃત્વ કરશે નહીં પરંતુ સભ્યો વચ્ચે બેસશે. વાસ્તવમાં, બંધારણ અને લોકસભાના નિયમો અનુસાર, જ્યારે ગૃહમાં અધ્યક્ષને હટાવવાનો પ્રસ્તાવ વિચારવામાં આવે છે, ત્યારે સંબંધિત અધ્યક્ષ કાર્યવાહીનું નેતૃત્વ કરી શકતા નથી.
આ પ્રસ્તાવ દ્વારા, વિપક્ષે બિરલા પર ગૃહની કાર્યવાહી દરમિયાન સ્પષ્ટ ભેદભાવનો આરોપ લગાવ્યો છે. વિપક્ષનો આરોપ છે કેરાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓને બોલવાની પૂરતી તક આપવામાં આવી ન હતી. લોકસભામાં કોંગ્રેસના મુખ્ય દંડક કે. સુરેશે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને ડીએમકે સહિત અનેક વિપક્ષી પક્ષો વતી લોકસભા સચિવાલયમાં આ નોટિસ સુપરત કરી હતી.
ઓછામાં ઓછા ૧૧૮ વિપક્ષી સાંસદોએ નોટિસ પર હસ્તાક્ષર કર્યા છે. જાકે, તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ તેના પર હસ્તાક્ષર કર્યા નથી. બંધારણીય નિષ્ણાત પી.ડી.ટી. આચારીના મતે, બિરલાને ગૃહ સમક્ષ પ્રસ્તાવ આવે ત્યારે પોતાનો બચાવ કરવાનો બંધારણીય અધિકાર હશે. તેઓ ચર્ચામાં ભાગ લઈ શકે છે અને પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન પણ કરી શકે છે, પરંતુ તેમણે મતદાન કરવા માટે સ્વચાલિત પ્રણાલીને બદલે મતદાન પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે.
બંધારણની કલમ ૯૬ અનુસાર, સ્પીકર અથવા ડેપ્યુટી સ્પીકર જ્યારે તેમને પદ પરથી હટાવવાની દરખાસ્ત પર વિચારણા ચાલી રહી હોય ત્યારે ગૃહનું નેતૃત્વ કરી શકતા નથી. કલમ ૯૪ હેઠળ, લોકસભાના સ્પીકરને સરળ બહુમતીથી પસાર કરાયેલ પ્રસ્તાવ દ્વારા પદ પરથી દૂર કરી શકાય છે.
લોકસભાના નિયમો અનુસાર, આવા પ્રસ્તાવ પર ઓછામાં ઓછા બે સાંસદોની સહીઓ જરૂરી છે, જ્યારે ગમે તેટલા સભ્યો નોટિસ પર સહી કરી શકે છે. પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરતા પહેલા ૧૪ દિવસની નોટિસ જરૂરી છે, અને ચર્ચા પછી ૧૦ દિવસની અંદર તેનો નિકાલ કરવો આવશ્યક છે. જાકે, સંસદના ઇતિહાસમાં લોકસભાના અધ્યક્ષને દૂર કરવાનો કોઈ પ્રસ્તાવ ક્યારેય પસાર થયો નથી, કારણ કે સામાન્ય રીતે સરકાર પાસે ગૃહમાં બહુમતી હોય છે.









































