અમરેલી લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આગામી તા.૦૭ મે, ૨૦૨૪ને મંગળવારના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે. અમરેલી જિલ્લાના મતદારોને ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અજય દહિયાએ અનુરોધ કર્યો છે. મતદાન જાગૃતિના એક સંદેશમાં તેમણે જણાવ્યુ કે, અમરેલીના યુવાનો, સિનિયર સિટીઝન્સ, દિવ્યાંગજનો, થર્ડ જેન્ડર અને તમામ મતદારો અગ્રેસર રીતે નીડર અને નિર્ણાયક બની મતદાન કરો. અમરેલી જિલ્લાની સર્વે માતાઓ અને બહેનો ચૂંટણીના મહાપર્વમાં અવશ્ય મતદાન કરો. ભારતીય ચૂંટણીપંચે મતદાન બુથ સુધી ન જઈ શકે તેવા દિવ્યાંગ અને ૮૫ વર્ષથી વધુ વયના વયસ્ક મતદારો માટે ઘરબેઠાં મતદાનની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત બુથ પર ૮૫ વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગ મતદારો માટે રેમ્પ તથા વ્હીલચેર અને સ્વયંસેવકોની વ્યવસ્થા કરવામાં આવી છે. સૌ સાથે મળીને સફળ અને ઉત્તમ લોકશાહીનું નિર્માણ કરવા માટે સંકલ્પબદ્ધ થઈને આગામી લોકસભાની ચૂંટણીમાં આગામી તા.૭ મે ને મંગળવારના રોજ સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી યોજાનાર લોકશાહીના મહાપર્વમાં અવશ્ય મતદાન કરવા અને લોકશાહીના આ મહાપર્વની ઉજવણી કરવા અનુરોધ કર્યો છે.