નવા મંત્રીમંડળમાં ધુરંધર-ખેરખા ગણાતાં ધારાસભ્યોની રીતસર બાદબાકી કરવામાં આવી છે જ્યારે નવા નિશાળીયાને મંત્રીપદ અપાયુ છે. ભાજપ હાઈકમાન્ડે ધારાસભ્યોને સીધો સંદેશ આપ્યો છે કે, ધાર્યુ અમારુ જ થશે. તમારી નહીં, બલ્કે કમળની લોકચાહના છે. લેટરકાંડ, વિવાદ ઉપરાંત સરકાર સામે જ રાજકીય બગાવત કરી હોવા છતાંય હાઇકમાન્ડે મંત્રી પદની ખુરશી આપી છે જે ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો છે.મંત્રીમંડળનુ પુનઃગઠન કરાયુ છે જેમાં કેટલાંય મંત્રીઓ એવા છે જેમણે સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો. એટલું જ નહીં, સરકારને ભેખડે ભેરવી દીધી હતી તેમ છતાંય તેમને મોભાદાર સ્થાન અપાયુ છે. જેમ કે, થોડાક વખત પહેલા જ સંજયસિંહ મહીડા પત્ર લખીને સરકારી સિસ્ટમ સામે આંગળી ચિંધી હતી. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, “મારા મહુધા મત-વિસ્તારની પ્રાથમિક શાળામાં ઈ પ્લાન્ટ, વોટર કુલર લગાવાયાં છે તે ગુણવતાવિહોણાં તો છે જ પરંતુ, ઉપયાગકર્તા નથી. ટૂંકમાં, ભ્રષ્ટાચાર થયા હોવાનો અણસાર આપ્યો હતો. આ લેટર સરકારી સિસ્ટમ કેટલી હદે ખરડાઈ છે તેનો ખ્યાલ રજૂ કર્યો હતો તેમ છતાંય સંજય મહિડાને મંત્રીની ખુરશી અપાઈ હતી. ટૂંકમાં, રાજકીય બગાવત કરવી પણ ફળી છે.”જ્યારે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાનું મંત્રીપદ તરીકે લગભગ નામ ચર્ચામાં હતું પણ છેલ્લી ઘડીએ પત્તુ કપાયુ હતું. ચર્ચા એવી છે કે, જૂનાગઢમાં કોઈ અધિકારી કામ માટે પૈસા માંગે તો મારી પાસે આવજા એવુ એલાન સંજય કોરડિયાએ કરીને સરકારની પ્રતિષ્ઠા ખરડી હતી. આ મુદ્દે તેમણે સરકારને પત્ર પણ લખ્યો હતો. જેના લીધે કોરડિયા કોરાણે મૂકાયા હતાં. પાયલ ગોટી પ્રકરણમાં કૌશિક વેકરિયાએ પાટીદારોમાં સરકારની વિલનની છાપ ઉભી કરી દીધી હતી. પાટીદારોનો રોષ ઠારતાં સરકારને નાકે દમ આવી ગયો. એટલુ જ નહીં, રાજકીય વાંધો પડતાં વેકરિયાની વિદાય નક્કી હતી તેમ છતાંય કાયદા મંત્રી બનાવવા પડ્યાં તે અચંબો પમાડે તેમ છે.આ તરફ, પરષોત્તમ સોલંકીને બિમારીને કારણે પડતા મૂકવાનું લગભગ નક્કી હતુ. તેમના સ્થાને તેમના ભાઈ હીરા સોલંકીને મંત્રી બનાવે તેવી રાજકીય અટકળ સાચી ઠરે તેમ લાગતુ હતુ પણ થોડાક દિવસો પહેલાં સિંહોના અકાળે મૃત્યુ થતા હીરા સોલંકીએ વન વિભાગની નિષ્કાળજીને મુદ્દો બનાવતાં સરકારની ઠેકડી ઉડી હતી જે હાઈકમાન્ડને પસંદ પડી ન હતી, જેની દાઝ રાખી પરસોતમ સોલંકીને યથાવત રાખી  હીરા સોલંકીને સબક શીખવાડ્યો હતો. આ જ પ્રમાણે, આદિવાસી ધારાસભ્યો પૈકી મંત્રી બનાવવાની કવાયત ચાલી ત્યારે અભેસિંહ તડવીને તક હતી. પરંતુ, તેમણે પણ સરકારી હોસ્પિટલલોમાં ચાલતી પોલંપોલને લઈને લેટર લખ્યો હતો જે તેમને નડી ગયો હતો.