લીલીયા શહેર સહિત ખારાપાટ પંથકમાં ત્રણ કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. આનાથી નાવલી અને ખારી નદીમાં પૂર આવતાં નીચાણવાળી દુકાનો અને કેબિનોમાં પાણી ફરી વળ્યા હતા, જેથી નાના વેપારીઓને નુકસાન થયું છે. ગોઢાવદર ગામે આંબેડકર વિસ્તારમાં રહેણાંક ઘરમાં પાણી ઘૂસ્યા હતા. મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન અને વિવેકાનંદ સોસાયટી જેવા વિસ્તારો જળબંબોળ થતાં પાણીના નિકાલની તાબડતોડ વ્યવસ્થા કરી હતી. મેઘમહેરથી ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.