અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદથી ખરીફ પાકને વ્યાપક નુકસાન થયું છે. આ મુદ્દે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન રમીલાબેન ધોરાજીયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને તાત્કાલિક રાહત પેકેજની માંગ કરી છે. પત્રમાં જણાવ્યા અનુસાર, લીલીયા તાલુકામાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. આ વિસ્તારમાં મોટાભાગના લોકો ખેતમજૂરી અને ખેતી પર નિર્ભર છે. કપાસ, મગફળી, અજમો, દિવેલા, તલ અને મગ જેવા ખરીફ પાકો તૈયાર થઈ ગયા હતા અને કાપણી-લણણીનો સમય હતો, ત્યારે આ કમોસમી વરસાદથી પાકને મોટું નુકસાન થયું છે. રમીલાબેન ધોરાજીયાએ પત્રમાં માંગ કરી છે કે સરકાર ‘ડિજિટલ ક્રોપ સર્વે’ કરીને તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરે. તેમણે જણાવ્યું કે ખેડૂતોએ મોંઘા બિયારણ, ખાતર, દવાઓ અને મજૂરી પાછળ ખર્ચ કર્યો છે અને હવે આ મુશ્કેલ પરિસ્થિતિમાં તેમને મદદની જરૂર છે.