લીલીયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડો. એ.આર. પ્રકાશની સાવરકુંડલા ખાતે બદલી થતાં સ્થાનિક સમાજે વિરોધનો સૂર ઉઠાવ્યો છે. લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક સેવા આપતા આ તબીબની બદલી મોકૂફ રાખવા વિવિધ સંસ્થાઓ અને આગેવાનોએ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે. ડો. પ્રકાશ પંથકની ગરીબ જનતા માટે અડધી રાતે પણ મદદરૂપ થતા હોવાથી તેમની બદલીના નિર્ણયથી સ્થાનિક પ્રજામાં નારાજગી જોવા મળી રહી છે. ડાયમંડ એસોસિએશન લીલીયા, ચેમ્બર ઓફ કોમર્સ લીલીયા અને બજરંગ સેવા સંસ્થાન લીલીયા સહિતની સામાજિક સંસ્થાઓએ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે. લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશ સાવજ, જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ એમ. દુધાત અને રમીલાબેન ભીખાભાઈ ધોરાજીયા સહિતના રાજકીય આગેવાનોએ આરોગ્ય મંત્રી ઉપરાંત સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને આરોગ્ય કમિશનર, આર.ડી.ડી. ભાવનગર તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી અમરેલીને પણ આ અંગે લેખિત અને મૌખિક રજૂઆત કરી છે.