અમરેલી જિલ્લામાં ખેતીપાક માટે આશીર્વાદ સમાન વરસાદ વરસ્યો છે પરંતુ હવે ખેતીપાકમાં રોગચાળાએ માથુ ઉંચકતા ખેડૂતોની ઉંઘ હરામ થઈ ગઈ છે. લાઠી તાલુકાના શાખપુરમાં કપાસના પાકમાં સુકારો રોગ આવતા ખેડૂતો ચિંતામાં પડી ગયા છે. આ અંગે સરપંચ દ્વારા તાલુકા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. શાખપુર ગામે કપાસના પાકમાં સુકારો નામનો રોગ આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણ દ્વારા તાલુકા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરતા ખેતીવાડી ગ્રામસેવક વિજયભાઈ પરમાર દ્વારા શાખપુર ગામની મુલાકાત લઇ ખેડૂત રામજીભાઈ લાલજીભાઈ દુધાતના ખેતરમાં સ્થળ તપાસ કરી અને આજુબાજુના ખેડૂતોને પણ આ બાબતમાં જોઈને તેનો રિપોર્ટ જિલ્લા ખેતીવાડી અધિકારીને મોકલશે. મોંઘા ખાતર, બિયારણ અને મહા મહેનત પછી મોઢે આવેલ કોળિયો ઝુંટવાઇ જવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. ઉઝરેલા છોડમાં સુકારો રોગ આવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.