ઉંચા ભાડાની લાલચ આપી બારોબાર કાર વેચી નાખવામાં આવતી હતી: અમરેલી એલસીબી પોલીસનો સપાટો
આરોપીઓએ વેચી નાખેલી ર૮ કાર જપ્ત, ર૩ કાર માલિકો સાથે છેતરપિંડી આચરાઈ
રાજયમાંથી મોંઘીદાટ કાર ભાડે લઈ સુરત મેટ્રોના કામમાં ભાડે આપવા માટે કારમાલિકોને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી કાર લઈ સુરત ખાતે મેટ્રો કામમાં કાર ભાડે મુકવાને બદલે કારને બારોબાર વેચી નાખવામાં આવતી હોવાની અમરેલી એલસીબીને ફરિયાદ મળી હતી. આ ફરિયાદને ગંભીરતાથી લઈ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા તાત્કાલિક આ ફરિયાદનો નિકાલ લાવવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જેથી અમરેલી એલસીબીએ આ ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી હતી. અમરેલી એલસીબીને ફરિયાદ મળી હતી કે, લાલજીભાઈ રમેશભાઈ મકવાણા રહે. વિઠ્ઠલપુર ખંભાળીયાને આ કામના આરોપીઓએ વિશ્વાસમાં લઈ પોતાનો આર્થિક ફાયદો થાય તે માટે કાવતરૂં રચી લાલજીભાઈ પાસે નવી મારૂતી સુઝુકી બ્રેઝા કિં.રૂ.૧૪.પ૦ લાખની ખરીદ કરાવી તેને આ કારના ઉંચા ભાડા માટેના સપનાઓ દેખાડી આ કાર સુરતના મેટ્રો કામમાં ભાડે મુકવાનું કહી ગાડી મેટ્રો પ્રોજેકટના કામમાં નહી મૂકીને આ ગાડી બારોબાર દિલ્હી બાજુ કોઈને આપી દીધી હતી.
કુલ ર૩ સાહેદો સાથે આ પ્રકારની છેતરપિંડી કરવામાં આવી હતી. જેથી રેન્જ આઈ.જી.ગૌતમ પરમાર તેમજ જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે આરોપીઓને પકડવા માટે જરૂરી સૂચનાઓ આપતા અમરેલી એલસીબી પી.આઈ. એ.એમ.પટેલની રાહબરી નીચે એલસીબી ટીમ તેમજ તાલુકા પી.આઈ.આર.જી.ચૌહાણએ આ બાબતે અલગ-અલગ ટીમો બનાવી ર૩ લોકો સાથે છેતરપિંડી કરનાર ચાર આરોપીઓને ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા.
જેમાં અલ્પેશ ઉર્ફે જાડીયો જગદીશચંદ્ર જરીવાલા રહે. રૂસ્તમપુરા, સુરત, મયુર ઉર્ફે સન્ની વસંતભાઈ સાંડીસ, રહે.નાનપુરા સુરત, યોગેશ વિનુભાઈ પટેલ રહે. અમરોલી સુરત, મિત ચંદ્રકાંત રાઠોડ, રહે. અમરોલી સુરત વાળાને ઝડપી પાડી વિવિધ વિસ્તારોમાંથી કાર જપ્ત કરી હતી.
આરોપી મયુર સાંડીસ અમરેલીના લોકો પાસેથી કાર મેળવતો
રાજયમાંથી ઉંચા ભાડા પર કાર લઈ કારમાલિકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડીમાં અમરેલીનું કનેકશન પણ સામે આવ્યુ છે. જેથી આ બાબતે અમરેલી પોલીસે આ કાર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અમરેલી એલસીબી પોલીસની તપાસમાં ભાડા પર કાર મેળવી બારોબાર વેચી નાખવાના અથવા ગિરવે મૂકી દેવાના રેકેટમાં કુલ ચાર આરોપીઓની સંડોવણી ખુલી છે જેનો માસ્ટર માઈન્ડ અલ્પેશ જરીવાલા છે. જ્યારે મયુર સાંડીસ નામનો શખ્સ હાલ સુરતમાં રહે છે પરંતુ, તેનું અમરેલી કનેકશન છે. મયુર જ અમરેલીના લોકો પાસેથી કાર મેળવી અલ્પેશને પૂરી પાડતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે યોગેશ પટેલ અને મીત રાઠોડ બંને અલ્પેશની ઓફિસમાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે. વિઠ્ઠલપુર ખંભાળીયાના કાર માલિક લાલજીભાઈ મકવાણા આ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાથી તેમણે આ બાબતે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ ફરિયાદની ગંભીરતા સમજી આખા રેકેટનો પર્દાફાશ કર્યો છે.
કઈ રીતે કાર માલિકો સાથે છેતરપિંડી આચરતા તે સામે આવ્યુ
અમરેલી સહિત રાજયના વિવિધ વિસ્તારોમાં કાર માલિકોનો સંપર્ક કરી સુરતના મેટ્રો પ્રોજેકટમાં કાર મુકવાની હોય ઉંચા ભાડાની લાલચ આપતા હતા. આ છેતરપિંડીમાં સુરતમાં રહેતા અલ્પેશ જરીવાલા, મયુર સાંડીસ, યોગેશ પટેલ અને મીત રાઠોડ નામના શખ્સોની આ રેકેટમાં સંડોવણી ખુલી છે. મયુર સાંડીસ નામના શખ્સનું અમરેલી કનેકશન હોય તે અમરેલીના કારમાલિકોને સુરતના મેટ્રો પ્રોજેક્ટ માટે કારની જરુરિયાત હોય ભાડે મેળવવા માટે ઊંચા ભાડાની લાલચ આપતો હતો. આરોપીઓ કાર ભાડે મેળવ્યા બાદ બે ત્રણ મહિના સુધી કાર માલિકોને ભાડાની ચૂકવણી પણ કરતા હતા. પરંતુ, બાદમાં કારને ત્રીજા વ્યકિતને સસ્તા ભાવે વેચી નાખતા અથવા તો ગિરવે મૂકી પૈસા લઈ લેતા હતા. ત્યારબાદ કારના મૂળ માલિકોને ભાડુ આપવાનું બંધ કરી દેતા હતા. જેથી કાર માલિકને પોતે છેતરાયા હોવાનું માલુમ થતા તેઓએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ પોલીસનો સપાટો
અમરેલીના વિઠ્ઠલપુર ખંભાળીયાના લાલજીભાઈ મકવાણાએ પોતાની કાર મારૂતી સુઝુકી બ્રેઝા કાર ભાડે આપ્યા બાદ તેમની સાથે છેતરપિંડીની ફરિયાદ નોંધાવ્યા બાદ અમરેલી પોલીસ એક્ટિવ થઈ હતી. આ ફરિયાદમાં અન્ય ભોગ બનનારા ૨૩ સાહેદો પણ છે. સુરતમાં રહેતા લોકોએ અમરેલીથી કાર મેળવ્યા બાદ ગુજરાતના અલગ અલગ શહેરો ઉપરાંત અન્ય રાજ્યોમાં વેચી નાખી હતી. જેથી પોલીસે એક બાદ એક કાર કબજે કરી હતી. અત્યાર સુધીમાં પોલીસે ૨૮ કાર જપ્ત કરી છે. જેની કિંમત પોણા ચાર કરોડ રૂપિયા થવા જાય છે. રાજયમાં વિવિધ શહેરોમાંથી પણ કાર ભાડે લઈ કાર માલિકો સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ હતું. જા કે અમરેલી એલસીબીએ સપાટો બોલાવી કુલ ચાર આરોપીઓને ઝડપી પાડયા હતા. આરોપીઓ સામે કાર્યવાહી બાદ અન્ય પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ હોવાથી તપાસ હાથ ધરવામાં આવશે.
પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ
અમરેલી એલસીબીએ કાર કૌભાંડમાં પકડેલા ચાર આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. કાર કૌભાંડના માસ્ટરમાઈન્ડ અલ્પેશ જરીવાલા સામે કુલ ૧પ ગુના નોંધાયેલા છે. જેમાં પ્રોહિબિશનના ૮, છેતરપિંડીના ૨, મારામારીનો ૧, જુગારના ૨, ચોરીનો ૧ અને આર્મ્સ એક્ટના ૧ ગુના સહિત કુલ ૧૫ ગુના નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તો અન્ય આરોપી મયુર સાંડીસ સામે નવસારી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન તેમજ અઠવાલાઈન્સમાં પણ પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે. આરોપી યોગેશ પટેલ સામે અઠવાલાઈન્સમાં જુગારધારાનો ગુનો નોંધાયેલો છે. આરોપી મીત રાઠોડ સામે સુરતમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે.
છ મહિનાથી આ કૌભાંડ ચાલતુ હોવાનું પોલીસનું અનુમાન
અમરેલી સહિત રાજયના વિવિધ શહેરોમાંથી કાર માલિકોને ઉંચા ભાડાની લાલચ આપી કાર મેળવી લીધા બાદ કારને અન્ય રાજયોમાં વેચી નાખવામાં આવતી હતી. જા કે આ અંગે પોલીસે જણાવ્યું હતું કે કાર ખરીદનાર જયારે કાર ટ્રાન્સફર કરવાનું કહેતા આરોપીઓ તેને ત્રણ મહિનામાં કાર ટ્રાન્સફર કરી આપવામાં આવશે તેવી હૈયાધારણા આપતા હતા. આ પહેલા આરોપીઓએ કુલ કેટલી કાર બારોબાર વેચી નાખી છે તેની પણ તપાસ કરવામાં આવી છે. આ કૌભાંડમાં કોઈ આરટીઓનો કર્મચારી સામેલ છે કે કેમ? તેની પણ તપાસ શરૂ કરવામાં આવશે. આ સમગ્ર કૌભાંડ છ મહિનાથી આચરવામાં આવતું હોવાનું પોલીસનું અનુમાન છે.