લોકસભા ૨૦૨૪ની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને હવે ત્રણ દિવસ જેટલો સમય બાકી છે. તે પહેલા રાહુલ ગાંધીએ શુક્રવારે રાયબરેલી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે રાયબરેલીથી રાહુલ ગાંધીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.રાહુલ ગાંધીએ સોંગદનામાં પોતાની સંપત્તિની સંપૂર્ણ વિગતો આપી હતી.
સોંગદનામાં મુજબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાયબરેલી બેઠકના ઉમેદવાર રાહુલ ગાંધી પાસે ૯.૨૪ કરોડ રૂપિયાની જંગમ અને ૧૧.૧૫ કરોડ રૂપિયાની સ્થાવર મિલકત છે. તેઓ કુલ રૂપિયા ૨૦ કરોડના માલિક છે. આ ઉપરાંત સોંગદનામાં અનુસાર તેમની પાસે કોઈ વાહન કે ફ્લેટ નથી. તેમજ માત્ર રૂપિયા ૫૫ હજાર રોકડા અને રૂપિયા ૨૬.૨૫ લાખ બેન્કમાં જમા છે. આ સિવાય રાહુલ ગાંધીના નામે રૂપિયા ૪.૩૩ કરોડના શેર અને રૂપિયા ૧૫.૨૧ લાખના ગોલ્ડ બોન્ડ છે. કોંગ્રેસ નેતા પાસે ૪.૨૦ લાખ રૂપિયાની જ્વેલરી અને ૩.૮૧ કરોડ રૂપિયાના મ્યુચ્યુઅલ ફંડ છે.
આ ઉપરાંત રાહુલ ગાંધીએ સોંગદનામાં આપેલી માહિતી અનુસાર તેમની પાસે દિલ્હીના મહરૌલીમાં ખેતીની જમીન છે. જેમાં બહેન પ્રિયંકા ગાંધી અને સાળા રોબર્ટ વાડ્રા પણ તેમાં ભાગીદારી છે. ગુરુગ્રામમાં તેમના નામે એક ઓફિસ પણ છે, જેની કિંમત ૯ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ખેતીની જમીનને વારસાગત મિલકત તરીકે વર્ણવવામાં આવી છે. ગાંધીએ સોગંદનામામાં તેમની સામે પોલીસ દ્વારા નોંધાયેલા કેસનો પણ ઉલ્લેખ કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં બળાત્કાર પીડિતાને ઓળખવા બદલ તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
રાહુલ ગાંધીએ સોંગદનામામાં કહ્યું છે કે આ કેસની એફઆઈઆર દિલ્હી હાઈકોર્ટ દ્વારા દાખલ કરવામાં આવેલા સીલ બંધ લિફાફામાં છે. એવું કહેવામાં આવ્યું છે કે આ કારણે તેની પાસે એફઆઈઆરની વિગતો વિશે સંપૂર્ણ માહિતી નથી. પરંતુ રાહુલે ખૂબ જ કાળજીપૂર્વક તેના વિશે વિગતો આપી રહ્યા છે. તેમણે ભાજપના નેતાઓ દ્વારા તેમની સામે દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસનો પણ ઉલ્લેખ કર્યો છે. નોંધનીય છે કે કોંગ્રેસે રાહુલ ગાંધીને કેરળની વાયનાડ બેઠક પરથી પણ ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યાં ૨૬મી એપ્રિલે મતદાન છે. તેમની સામે પ્રદેશ ભાજપ અધ્યક્ષ કે સુરેન્દ્રન અને સીપીઆઈ નેતા એની રાજા મેદાનમાં છે.