ગુજરાત સરકારે જમીન રી-સરવેમાં ભૂલોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં ભુલો દૂર કરવાની અરજી માટેનો સમય વધારવામાં આવ્યો છે. જમીનના રેકોર્ડ રી-સરવે પ્રમોલગેશનની ક્ષતિઓ માટે નિર્ણય લેવામાં આવ્યા છે,ક્ષતિ દૂર કરવા ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી અરજી કરી શકાશે ક્ષતિઓ દૂર કરવા માટે એક વર્ષનો સમય વધારાયો છે સાથે સાથે ખેડૂતોના ભારે વિરોધ બાદ સરકારે મુદત વધારી છે અને રી-સરવેની કામગીરીમાં અનેક પ્રકારની ભૂલો પણ સામે આવે છે.રાજ્યમાં ખેતીની જમીનના રેકોર્ડ રી-સરવે પ્રમોલગેશનની ક્ષતિઓ દૂર કરવા અરજી માટેની તારીખ લંબાવી છે જેમાં એક વર્ષ સુધીનો સમય વધારવામાં આવ્યો છે.

હવે ૩૧/૧૨/૨૦૨૫ સુધીમાં ક્ષતિ દૂર કરવા માટેની અરજી કરી શકાશે તેમજ રાજ્યના ૩૩ જિલ્લામાં આ કામગીરી હાથ ધરાઈ છે જોકે આ મુદ્દત દરમિયાન પણ સંપૂર્ણ ક્ષતિ જો સામે વાંધા અરજી કરવામાં રહી ગઈ હોય તો સરકારે તક આપી છે જેને લઈ રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા આ પરિપત્ર કરાયો છે. ગુજરાતમાં વિકાસ અને ખેતીની જમીનમાં બિનખેતી-એનએ રૂપાંતરણ તેમજ જમીનમાંથી પૈકી અથવા તો હિસ્સાના વેચાણને તબક્કે પ્રોપર્ટીકાર્ડ ઝડપી જનરેટ થઈ શકે, દૂરસ્તી કમી જાસ્તી પ્રત્રક –કેજેપીની કાર્યવાહી થઈ શકે તેવા ઉદ્દેશ્યથી મહેસૂલ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.જમીનમાં હિસ્સા માપણીની અરજી ‘અરજન્ટ’ ગણી તેમાં ફી રિસિપ્ટ જનરેટ થયાથી ૨૧ દિવસમાં જ માપણી પૂર્ણ કરવા અથવા એવી અરજીનો નિકાલ કરવા આદેશ થયો છે.મહેસૂલ વિભાગના નાયબ સચિવ પ્રેરક પટેલની સહીથી પરિપત્રનો તમામ કલેક્ટર તેમજ જમીન માપણી દફતર અધિકારીઓને અમલ કરવા કહેવાયુ હતુ.

જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ ગઈ હોવા છતાં પ્રમાણપત્રના અભાવે બિન ખેડૂત બન્યા હોય તેવા ખેડૂતોના વિશાળ હિતમાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની સુલભતા કરતી એક તક આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક હિતકારી નિર્ણય કરીને તે અંગેનો ઠરાવ પ્રસિદ્ધ કરવાના દિશા નિર્દેશો આપ્યા છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર તા.૦૧/૦૫/૧૯૬૦થી એટલે કે ગુજરાતના અલગ રાજ્ય તરીકેના સ્થાપના કાળથી વિવિધ પ્રોજેક્ટ્‌સમાં ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શક્યા હોય તેવા ખેડૂતો રાજ્ય સરકાર દ્વારા આ ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટે સંબંધિત કલેકટર સમક્ષ અરજી કરી શકશે.

આવી અરજી મળ્યા પછી સંબંધિત કલેકટર દ્વારા જાતે ખરાઈ કરીને ખેડૂત પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે. એટલું જ નહીં, આવું પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષમાં જે તે ખેડૂતને જમીન ખરીદી કરી લેવાની રહેશે.રાજ્યના જે ખેડૂતોની જમીનો પ્રોજેક્ટ્‌સમાં સંપાદિત થઈ છે પરંતુ જે તે વખતે એ ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શકેલા ખેડૂતો કે જે ખેડૂત મટી ગયા છે તેમને મુખ્યમંત્રીના આ નિર્ણયના પરિણામે ખેતી કરવાનું પ્રોત્સાહન મળશે.આ ઉપરાંત જે ખેડૂત પોતાનાં ખાતાના સર્વે નંબર પૈકી બચત રહેલો એક માત્ર સર્વે નંબર બિનખેતી કરાવે તેના કારણે ખેડૂત મટી જતા હતાં.આવા કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની કોઈ જોગવાઈ ન હોવાના કારણે ખેતીની જમીન ખરીદવામાં તેઓ મુશ્કેલી અનુભવતા હતા. એવી રજૂઆતો મુખ્યમંત્રી સમક્ષ અવારનવાર ખેડૂતો દ્વારા આવી હતી. આવી રજૂઆતોના સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવો નિર્ણય કર્યો છે કે, હવે પછી પોતાની ખેતીની જમીનનો છેલ્લો સર્વે નંબર પણ બિનખેતી થયા બાદ કોઈ ખેડૂત, ખેડૂત પ્રમાણપત્ર માંગે તો આવી જમીન બિનખેતી થયા બાદ એક વર્ષમાં ખેડૂત પ્રમાણપત્ર આપવાનું રહેશે. ખેડૂતે આ પ્રમાણપત્રની તારીખથી બે વર્ષમાં જમીન ખરીદી કરવાની રહેશે. આ અંગેનો ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષ પહેલાંથી આ પ્રકારે બિન ખેડૂત થયેલા અરજદારોને પણ આ નિર્ણયનો લાભ મળશે.