રાજ્યપાલ રવિનું નામ ઈતિહાસમાં લખાઈ ગયું. તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિએ તમિલનાડુ વિધાનસભાએ પસાર કરેલાં ૧૦ બિલને મંજૂરી પણ ના આપી કે નકાર્યાં પણ નહીં તેના કારણે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપી દીધો. સુપ્રીમ કોર્ટે રવિને બરાબરના ઝાટક્યા અને રાજ્યપાલની સહી વિના જ તમામ ૧૦ બિલને પસાર કરેલાં ગણાવીને તેનો અમલ શરૂ કરાવી દીધો. ભારતના ઈતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે, રાજ્યપાલને કોરાણે મૂકીને બિલનો અમલ શરૂ કરાયો.
રવિના કારણે બીજો પણ ઈતિહાસ સર્જાયો. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિને આદેશ આપ્યો કે, વિધાનસભાએ પસાર કરેલાં બિલ અંગે ત્રણ મહિનામાં નિર્ણય લેવો પડશે. દેશના ઈતિહાસમાં સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિને તેમની બંધારણીય ફરજો યાદ દેવડાવવી પડી હોય એવું પહેલી વાર બન્યું. રાષ્ટ્રપતિ દેશના બંધારણીય વડા છે પણ રવિ સહિતના રાજ્યપાલોની ગેરબંધારણીય હરકતો સામે આંખ આડા કાન કરવા બદલ રાષ્ટ્રપતિપદની ગરિમા પણ ઝંખવાઈ ગઈ.
સુપ્રીમ કોર્ટના ચુકાદાના કારણે રવિ કોંગ્રેસ શાસનના કુખ્યાત રાજ્યપાલોની યાદીમાં આવી ગયા. ઉત્તર પ્રદેશમાં રોમેશ ભંડારી, બિહારમાં બુટાસિંહ, આંધ્ર પ્રદેશમાં રામલાલ ઠાકુર, ગુજરાતમાં સરૂપસિંહ, કર્ણાટકમાં પી. વેંકટસુબૈયાહ વગેરે રાજ્યપાલો બંધારણની ઐસીતૈસી કરી નાંખનારા રાજ્યપાલો તરીકે વગોવાયેલા હતા.
હવે રવિનું નામ પણ આ યાદીમાં છે.

રાજ્યપાલ રવિ પહેલાં પણ સુપ્રીમ કોર્ટની ઝપટે ચડેલા છે. તમિલનાડુની વિધાનસભાએ ૨૦૨૨માં રાજીવ ગાંધીના હત્યારા એવા છ દોષિતોને મુક્ત કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. નલિની, રવિચંદ્રન, સંથન, મુરૂગન ઉર્ફે શ્રીહરન, જયકુમાર અને રોબર્ટ પાયસ આ તમામ દોષિતો રાજીવની હત્યાના કેસમાં આજીવન કેદની સજાના કારણે ૩૧ વર્ષથી જેલમાં સબડતા હતા. વિધાનસભાએ માફી આપવાનો ઠરાવ પસાર કરીને રાજ્યપાલને મોકલ્યો હતો પણ રાજ્યપાલે ઠરાવ સ્વીકારીને માફી ના આપતાં ટેકનિકલ કારણોસર રાજીવ ગાંધીના હત્યારાઓની મુક્તિ અટવાઈ હતી. રાજ્યપાલે ઠરાવ ના સ્વીકાર્યો કેમ કે નરેન્દ્ર મોદી સરકાર મુક્તિની વિરૂધ્ધ હતી. સુપ્રીમ કોર્ટે ૨૦૨૨માં જ ૧૮ મેના રોજ અન્ય દોષિત પેરારીવલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો ત્યારે પણ મોદી સરકારે વિરોધ કર્યો હતો અને બાકીના છને છોડી મૂકવાનો પણ વિરોધ કર્યો હતો.
તમિલનાડુ સરકાર રાજ્યપાલના વલણ સામે સુપ્રીમ કોર્ટમાં ગઈ પછી સુપ્રીમ કોર્ટે રવિને ઝાટકી નાંખેલા. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહેલું કે, તમિલનાડુની વિધાનસભાએ છ દોષિતોને મુક્ત કરવાનો ઠરાવ પસાર કર્યો પછી રાજ્યપાલે તેને સ્વીકારીને માફી આપવી ફરજિયાત હતી કેમ કે રાજ્યપાલ વિધાનસભાની વાત માનવા બંધાયેલા છે. તેના બદલે તેમણે માફી ના આપી તેથી સુપ્રીમ કોર્ટે પોતાની ખાસ સત્તાનો ઉપયોગ કરીને આ તમામ દોષિતોને છોડી મૂક્યા હતા.
દેશના ભૂતપૂર્વ વડાપ્રધાનના હત્યારાઓને છોડી દેવાનો નિર્ણય કઠે એવો હતો પણ સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ નહીં પણ વિધાનસભા સર્વોપરી છે એ ત્યારે જ કહી દીધેલું. રાજ્યપાલ રવિ એ છતાં સુધર્યા નહીં તેથી ફરી સુપ્રીમ કોર્ટની ઝપટે ચડી ગયા.

રાજ્યપાલ બંધારણના રક્ષક છે. રાજ્યપાલ પાસે વ્યાપક સત્તાઓ છે પણ આ સત્તાઓ રાજ્ય સરકાર, વિધાનસભા અને રાષ્ટ્રપતિને આધિન છે. ભારતમાં કોઈ પણ હોદ્દા પર બેઠેલી વ્યક્તિની સત્તા કોઈ ને કોઈને આધિન છે જ કેમ કે આ લોકશાહી છે, રાજાશાહી નથી. તમામ હોદ્દેદારોએ બંધારણ પ્રમાણે વર્તવાનું હોય છે તેથી દેશમાં બંધારણ સર્વોપરી છે અને કોઈ પણ મહત્વના હોદ્દા પર બેઠેલી વ્યક્તિનું મુખ્ય કામ અથવા ફરજ બંધારણના રક્ષણની છે.
રાજ્યપાલ રાજ્યમાં બંધારણીય વડા ગણાય છે. રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રપતિનું છે તે સ્થાન અને સત્તા રાજ્યમાં રાજ્યપાલ પાસે છે. બંધારણમાં રાજ્યપાલની લાયકાત, સત્તા, કામગીરી સહિતની બાબતો અંગે એકદમ સ્પષ્ટ રીતે કહેવાયું છે. બંધારણની કલમ ૧૫૭ અને ૧૫૮ પ્રમાણે ભારતના નાગરિક હોય, ઓછામાં ઓછી વય ૩૫ વર્ષ હોય, કોઈ પણ રાજ્યની વિધાનસભા કે સંસદના સભ્ય ના હોય અને કોઈ ઓફિસ ઓફ પ્રોફિટમાં હોદ્દો ના ધરાવતા હોય તેવી વ્યક્તિ રાજ્યપાલ બની શકે.
બંધારણ પ્રમાણે રાજ્યપાલની કામગીરી રાજ્યમાં બંધારણનો અમલ, રક્ષણ અને બચાવ થાય એ જોવાની છે. બંધારણની કલમ ૧૫૯માં સ્પષ્ટ કહેવાયું છે કે, રાજ્યપાલનો દરેક નિર્ણય અને કાર્ય બંધારણીય જોગવાઈઓના અમલ માટે હોવાં જોઈએ. બંધારણની અલગ અલગ કલમોમાં રાજ્યપાલની જુદી જુદી કામગીરી અને કઈકઈ સત્તા હોય છે તે વિશે સ્પષ્ટતા કરાઈ છે. આ તમામ કલમોનો સાર એ છે કે, રાજ્યપાલે બંધારણનું જતન કરવાનું છે અને સત્તાધારી પક્ષ બંધારણનું પાલન ના કરે તો તેને રોકવાની ભૂમિકા ભજવવાની હોય છે.
રાજ્યપાલે સરકારની ભલામણ પ્રમાણે નિર્ણય લેવાના હોય છે અને વિધાનસભાને સર્વોપરી માનવાની હોય છે. રાજ્યપાલ રાજ્યમાં બહુમતી ધરાવતા પક્ષને સરકાર રચવા માટે નિમંત્રણ આપવાથી માંડીને રાજ્ય સરકાર બંધારણીય જોગવાઈઓનું પાલન કરવામાં નિષ્ફળ જાય કે કાયદો-વ્યવસ્થા ના જાળવી શકે તો બરતરફ કરવાની ભલામણ કરવા સુધીની સત્તા ધરાવે છે. કોઈ પક્ષને બહુમતી ના મળે ત્યારે કોને સરકાર રચવા માટે નિમંત્રણ આપવું તેનો વિશેષાધિકાર રાજ્યપાલ પાસે છે.

રાજ્યપાલ પાસે વિધાનસભાની બેઠક બોલાવવાની અને જરૂર લાગે તો વિધાનસભાને ભંગ કરી દેવાની પણ સત્તા છે. સામાન્ય રીતે રાજ્યના પ્રધાનમંડળની સલાહ પ્રમાણે આ સત્તાનો ઉપયોગ કરાય છે પણ અસામાન્ય સંજોગોમાં રાજ્યપાલ ઈચ્છે તો ગૃહની બેઠક બોલાવી શકે કે વિધાનસભા ભંગ કરવાની ભલામણ પણ કરી શકે. ગૃહની બેઠક ના ચાલી રહી હોય ત્યારે રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે. આ ઉપરાંત ચૂંટણી પંચની ભલામણના આધારે કોઈ પણ ધારાસભ્યને ગેરલાયક ઠેરવી શકે. ધારાસભ્યો સામે કાનૂની કાર્યવાહી કરવી હોય તો પણ રાજ્યપાલની મંજૂરી જરૂરી છે.
રાજ્યપાલ રાજ્ય સરકારના બંધારણીય વડા છે તેથી રાજ્ય સરકાર દ્વારા લેવાતા નિર્ણય તેમના માધ્યમથી અમલી બને છે. રાજ્યની વિધાનસભા દ્વારા પસાર કરાતા ખરડા અને બીજા નિર્ણયો પણ રાજ્યપાલની સહી પછી જ અમલી બને છે. રાજ્યપાલને લાગે કે કોઈ ખરડા દ્વારા બંધારણીય જોગવાઈનો ભંગ થાય છે તો એ ખરડાને ફગાવી દેવાની તેની પાસે સત્તા છે.
રાજ્યપાલ એડવોકેટ જનરલને ગૃહની કામગીરીમાં હાજરી આપીને કશું ગેરબંધારણીય થતું હોય તો તેનો રિપોર્ટ આપવા કહી શકે. રાજ્યનું બજેટ રાજ્યપાલની મંજૂરીથી જ રજૂ થાય છે. રાજ્યના આકસ્મિક ખર્ચને પહોંચી વળવા માટે બનાવાયેલા ભંડોળમાંથી સરકારને જરૂર પડે ત્યારે નાણાં આપવાની સત્તા પણ રાજ્યપાલ પાસે છે. રાષ્ટ્રપતિશાસન હોય ત્યારે રાષ્ટ્રપતિની સૂચનાઓ પ્રમાણે રાજ્યનો વહીવટ ચલાવવાની જવાબદારી પણ રાજ્યપાલની છે.

મોટા ભાગના રાજ્યપાલો બંધારણને વફાદાર નથી રહેતા. રાજ્યપાલ બંધારણના રક્ષણ માટે મળેલી સત્તાનો ઉપયોગ દેશહિતમાં કરવાના બદલે કેન્દ્રના સત્તાધારી પક્ષની ચાપલૂસી અને હિતો સાચવવા કરે છે. એ માટે બંધારણીય જોગવાઈઓનો ભંગ કરવામાં પણ તેમને શરમ નથી આવતી. રાજ્યપાલ રવિનું વર્તન તેનો તાજો પુરાવો છે પણ માત્ર ભાજપ સરકારે નિમેલા રાજ્યપાલો જ આ રીતે વર્તે છે એવું નથી. કોંગ્રેસના શાસનમાં નિમાયેલા રાજ્યપાલોનો ટ્રેક રેકોર્ડ તો ભાજપ કરતાં પણ બદતર છે.
કોંગ્રેસ કેન્દ્રમાં સત્તામાં હતી ત્યારે રાજ્યપાલોનો ઉપયોગ સંખ્યાબંધ વિપક્ષી સરકારોને ઘરભેગી કરવા કરાયો હતો. બંધારણની કલમ ૩૫૬ પ્રમાણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બરાબર નથી તેવો રિપોર્ટ રાજ્યપાલ આપે તો એ રાજ્યની સરકારને બરતરફ કરીને રાષ્ટ્રપતિશાસન લાદી શકાય. કોંગ્રેસની સરકારોએ રાજ્યપાલો પાસે બંધારણની ૩૫૬મી કલમનો બેફામ દુરૂપયોગ કરાવ્યો છે. જવાહરલાલ નહેરૂએ ૧૯૫૭માં કેરળની સામ્યવાદી પક્ષની સરકારને ઘરભેગી કરીને તેની શરૂઆત કરેલી. ૧૯૫૭ની ચૂંટણીમાં કેરળમાં સામ્યવાદી પક્ષ જીત્યો હતો અને ઈએમએસ નામ્બુદ્રીપાદ મુખ્યમંત્રી બન્યા હતા. કોંગ્રેસના એકચક્રી શાસનના દિવસો સમાપ્ત થવાની શરૂઆત થતાં છંછેડાયેલા જવાહરલાલ નહેરૂએ બે વર્ષ પછી બિનલોકશાહી રીતે નામ્બુદ્રીપાદની સરકારને બરતરફ કરાવી નાખી હતી.
ઈન્દિરાના શાસનમાં તો કલમ ૩૫૬નો દુરૂપયોગ કરવાનો રેકોર્ડ જ સર્જાઈ ગયો હતો. દર વરસે એકાદ વિપક્ષી સરકારને ઘરભેગી કરી દેવાતી. રાજીવ ગાંધીએ પણ એ જ ખેલ કરેલો. ૧૯૯૦ પછી કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ના મળી એટલે બધું બંધ થયું પણ ભાજપને સ્પષ્ટ બહુમતી મળી એટલે ફરી આ ખેલ શરૂ થઈ ગયો. જગદીપ ધનખડે પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ વખતના રાજ્યપાલોને સારા કહેવડાવે એવાં કારનામા કર્યા હતા. સી.વી. આનંદ બોઝ, આરિફ મોહમ્મદ ખાન, ભગતસિંહ કોશિયારી, આર.એન. રવિ વગેરે એ જ રસ્તે ચાલ્યા છે અને રાજ્યપાલપદની ગરિમાને ઝાંખપ લગાડી ચૂક્યા છે અથવા લગાડી રહ્યા છે.
sanjogpurti@gmail.com