(એ.આર.એલ),અમદાવાદ,તા.૨૩
રાજ્યની ૧૨૫ નગરપાલિકાની નાણાકીય સ્થતિ અત્યંત ખરાબ છે. આ સ્થતિ એટલી ખરાબ છે કે તેમણે વીજળીના બાકી ૯૧૫ કરોડ રૂપિયા ભરવા માટે લોન લેવી પડે તેવી સ્થતિ છે. તેમા સૌથી વધુ ઝાલોદ નગરપાલિકાના રૂ. ૨૩૩.૮૩ કરોડ લેણા નીકળે છે. જ્યારે તેના પછી વલ્લભીપુરના ૧૦૮.૩૮ કરોડ રૂપિયા લેણા નીકળે છે. આ સિવાય ખંભાતના રૂ. ૫૧.૧૪ કરોડ લેણા નીકળે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની જામખંભાળિયા નગરપાલિકાએ વીજળી બિલ ભરવા માટે લોન લેવી પડી! આ સાંભળીને ભલે થોડી નવાઇ લાગે પણ તે કડવી હકીકત છે. નગરપાલિકા પાસે વોટર વર્કસ અને સ્ટ્રીટ લાઇટના વીજ બિલના ૮૪ લાખ રૂપિયા ભરવા માટેના પૈસા નહોતા એટલે નગરપાલિકાએ ૧ કરોડ રૂપિયાની લોન લીધી. તળિયાઝાટક તિજારીની આ સમસ્યા ફક્ત જામખંભાળિયા નગરપાલિકા પૂરતી જ સિમિત નથી. રાજ્યની ૧૨૫ નગરપાલિકા એવી છે જેને વીજળી બિલ ભરવાના પણ ફાંફાં છે. આ નગરપાલિકાઓ પાસેથી ૯૧૫ કરોડથી વધુની રકમ વસૂલ કરવાની બાકી છે.
સામાન્ય લોકોના મનમાં એવો પ્રશ્ન ઉઠે કે અમે બિલ ન ભરીએ તો અમારૂં વીજ કનેક્શન તરત જ કપાઇ જાય છે તો પછી આવી નગરપાલિકા સામે કડક કાર્યવાહી કેમ નથી થતી? ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલ કરમુરે જણાવ્યું હતું કે, નગરપાલિકાનું વીજ બિલ ૧ કરોડ રૂપિયા જેટલું બાકી છે પણ લોન મંજૂર થઈ ગઈ છે. ચેક આવશે એટલે બિલ ભરી દઇશું. સ્વભંડોળના અભાવના કારણે વીજ બિલ બાકી રહે છે. વેરાની ઓછી વસૂલાત અને વેરો ભરવા માટે લોકોમાં જાગૃતિ નથી એટલે ભંડોળનો અભાવ રહે છે. સૌથી વધુ આવક મિલકત વેરાની થાય છે, મહેકમ વિભાગમાં સૌથી વધુ ખર્ચ થાય છે.ઝાલોદ નગરપાલિકાના ચીફ ઓફિસર દીપસિંહ હઠીલાએ જણાવ્યું હતું કે ૨૫ લાખ રૂપિયા જેટલું વીજ બિલ બાકી છે. લોકો ટેક્સ નથી આપતા એટલ બિલ ભરી નથી શકતા. જા ટેક્સ પૂરતો આવે તો આજે જ બિલ ભરી દઇએ. ટેક્સના અભાવના કારણે વીજ બિલ નથી ભરાતું. નગરપાલિકાને સૌથી વધુ આવક મિલકત વેરાની થાય છે. સૌથી વધુ ખર્ચ પગાર પાછળ થતો હોય છે.