રાજુલા અને જાફરાબાદ પંથકમાં ઈન્ડો એશિયા કોપર પ્રા.લિ.ની સ્થાપના સામે ગ્રામજનોમાં પ્રચંડ રોષ ફેલાયો છે. ગ્રામજનોએ રોષ સાથે જણાવ્યું છે કે, જા આ ઉદ્યોગની સ્થાપના કરવામાં આવશે તો પર્યાવરણ અને ફળદ્રુપ જમીન માટે આ નુકસાનકર્તા છે. રાજુલા તાલુકાના લોઠપુર નજીક તૈયાર થનારા કોપર પ્લાન્ટ સામે આજે કોપર હટાવો સમિતિ દ્વારા રાજુલામાં રેલી કાઢી મામલતદારને આવેદન આપ્યું હતું અને આ કોપર પ્લાન્ટ બંધ રખાવવા રજૂઆત કરી હતી. લોઠપુરથી આ કોપર કંપની સામે રાજુલામાં આજે લુહાર સુથાર જ્ઞાતિની વાડીમાં બેઠકનું આયોજન કરવામા આવ્યુ હતું. જેમા રાજકીય આગેવાનો ઉપરાંત તખુભાઇ સાંડસુર, મહુવાના ભરતસિંહ વાળા, વિક્રમભાઇ ધાખડા, અમદાવાદના મૃદિતાબેન વિદ્રોહી, નિતાબેન વૈદ, મંગળુભાઇ ખુમાણ, જયદીપભાઇ ખુમાણ વિગેરે હાજર રહ્યા હતા અને અહી તૈયાર થનારા કોપર પ્લાન્ટના કારણે ફેલાનારા પ્રદૂષણ અને નુકસાન અંગે ચર્ચા વિચારણા કરી હતી.ત્યારબાદ તમામ લોકો રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવી પ્લાન્ટ અંગેની સુનાવણી રદ કરવા માંગ કરી હતી. સુનાવણીમાં પોલીસ આવે છે અને બધાને ઉઠાવી લે છે તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. પ્લાન્ટથી આવનારી પેઢીને પણ નડે તે હદે પ્રદૂષણ ફેલાશે તેવી રજૂઆત કરી હતી.
પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરીયાએ જણાવ્યું હતું કે, આ પંથકની રજૂઆત સાચી છે. જા લોકો રજૂઆત કરવા ભેગા થાય તો પોલીસ તેમને ઉઠાવીને લઈ જાય છે. કોપર કંપનીને કારણે પ્રદૂષણ થાય છે જેથી પર્યાવરણ બચાવવા માટે આ આંદોલન ચાલી રહ્યુ છે.