રાજુલા શહેરમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતી શહેનશાહ યા તાજનશાહ પીર બાપુની દરગાહ ખાતે વાર્ષિક ઉર્સ મુબારકની ઉજવણી ૧૩ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ કરવામાં આવશે. આ પવિત્ર સ્થળે તાજનશાહ પીર બાપુની દરગાહ સાથે માં ખોડિયારનું મંદિર પણ બિરાજમાન છે, જે આ જગ્યાને વિશેષ મહત્વ આપે છે. રાજુલા કોમી એકતા સમિતિ દ્વારા આયોજિત આ ઉર્સમાં સોમવારે બપોરે ૩ઃ૩૦ કલાકે બહેનોની મજલિસ અને રાત્રે ૯ઃ૩૦ કલાકે પુરુષોની મજલિસનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ રાત્રે ૧૧ઃ૩૦ કલાકે ચંદન અને ચાદરનું ભવ્ય જુલૂસ નીકળશે. આ પ્રસંગે પરંપરાગત રીતે દર પેઢીથી ધાખડા પરિવારના દરબાર મનુભાઈ વીરાભાઈ દ્વારા રાત્રે ૧૨ વાગ્યે ચાદર ચઢાવવામાં આવશે. આ પવિત્ર અવસર પર સમિતિ દ્વારા સર્વ ધર્મપ્રેમી જનતાને ઉર્સમાં પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.