હાલ સુરતના વરાછામાં રહેતી અને મૂળ રાજુલાના જુના વણકરવાસની એક મહિલાએ તેના રૂમનું તાળું તોડી કરિયાવરમાં આપેલો સામાન, વાસણો તથા રસોડાનો સર-સામાન મળી કુલ રૂ.૧૪,૫૦૦ની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. આશાબેન હરીશભાઈ મકવાણા (ઉ.વ.૩૫)એ પ્રવીણભાઈ દેવજીભાઈ મહીડા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ ગઇ તા.૦૬/૧૨/૨૦૨૪ ના સાંજના પાંચેક વાગ્યાથી ગઇ તા.૧૬/૦૪/૨૦૨૫ ના સવારના દશેક વાગ્યા દરમિયાન કોઇપણ સમયે કોઇપણ વસ્તુથી તેમના મકાનના રૂમનું તાળુ તોડી રૂમમાં છૂપી રીતે પ્રવેશી, રૂમમાંથી શેટી પલંગ, ફોમ ગાદી, લોખંડનો કબાટ, કરિયાવરમાં આપેલા તમામ વાસણો તથા રસોડાનો સર-સામાન મળી કુલ રૂ.૧૪,૫૦૦/- ની મત્તાની ચોરી કરી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ. એફ. ચૌહાણ વધુ તપાસ કરી રહ્યા છે.