રાજુલા તાલુકાના ભાક્ષી ગામ નજીક આવેલ ધાતરવડી ડેમ ૧ પાણીથી છલોછલ ભરેલો છે તેવા સમયે બાજુમાં સૌથી મોટા ભરડીયા ધમધમી રહ્યા છે. ત્યાં બ્લાસ્ટિંગ કરવામાં આવતું હોવા તેની સીધી અસર ધાતરવડી ડેમ ઉપર થઈ રહી છે. ધાતરવડી ડેમ રાજુલા તાલુકાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. વર્ષો જૂનો ડેમ હોવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે તેવા સમયે નજીક આવેલ બંને ભરડીયા ક્વોરી લીઝ બંધ કરાવવા ખેડૂતોએ ઉગ્ર માગણી કરી છે. પ્રથમ મોટા આગરિયા ગ્રામ પંચાયત દ્વારા કલેકટરને પત્ર લખ્યા બાદ આજે વધુ બે ગ્રામ પંચાયતોએ વિરોધ કરીને ભરડીયા બંધ કરાવવા માટે માગણીઓ કરી છે. જેમાં અસરગ્રસ્ત બંને ગામ ધારેશ્વર અને ભાક્ષીની ગ્રામ પંચાયતોએ કલેકટરને પત્ર લખીને રજૂઆતો કરી છે.
ધારેશ્વર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ મનીષાબેન દિલીપભાઈ સોજીત્રાએ કલેકટરને રજૂઆતો કરી છે કે, ધારેશ્વર ગામની ઉપરવાસમાં આવેલ ધાતરવડી ડેમ ૧ ખૂબ જ મોટો ડેમ છે. અમારા ગામના સીમાડામાં અડીને આવેલ ભાક્ષી ગામનો સીમાડો છે. ધાતરવડી ડેમની ૫૦૦ મીટરની ત્રિજ્યામાં બે ભરડીયા ઘણા વર્ષોથી ચાલુ છે. ડેમને અડીને પથ્થર કાઢીને ૧૫૦થી ૨૦૦ મીટરની ત્રિજયામાં બે ભરડીયા ઘણા વર્ષોથી ચાલુ છે. ડેમને અડીને પથ્થર કાઢી ૧૫૦થી ૨૦૦ ફૂટ ઉંડી ખાણો કરવામાં આવી છે. પથ્થર કાઢવા માટે મોટા બ્લાસ્ટિંગના કારણે ડેમને નુકસાન થાય છે અને અમારા ગામની સલામતી જોખમાય છે. આસપાસ ખેતરોમાં ધૂળ ઉડીને આવતા સીધી ખેતીપાક ઉપર અસર થઇ રહી છે. પાણીના તળ પણ ઊંડા ઉતરી ગયા છે. આવા સંજોગોમાં જો ડેમ તૂટે તો અમારું ગામ સંપૂર્ણ માનવસર્જિત હોનારતમાં નાશ પામે. જેથી તાકીદે આ બંને ભરડીયાઓની લીઝ રદ્દ કરવા અમારી માગણી છે. નહિતર અમારે નાછૂટકે હાઇકોર્ટમાં જવાની ફરજ પડશે. જ્યારે ભાક્ષી ગ્રામ પંચાયતના સરપંચ અમુબેન મનુભાઈ ધાખડાએ કલેકટરને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે, ધાતવરડી ડેમમાંથી આજુબાજુના ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવે છે. જો અમારી માગણી નહીં સ્વીકારવામાં આવે તો બંને ગ્રામ પંચાયતોને ન્યાયિક કાર્યવાહીની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.