રાજ્ય સરકારે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ, રાજ્ય સરકારના તમામ વિભાગો, ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયતો, કોર્પોરેશનો અને સ્વાયત્ત તેમ જ અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ અને કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. આટલું જ નહીં, જે અધિકારીઓ અને કર્મચારીઓ હાલમાં રજા પર છે, તેઓને પણ તાત્કાલિક અસરથી ફરજ પર હાજર થવા માટે સંબંધિત વિભાગ અથવા ખાતાના વડાને સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત, તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તેમના વિભાગના વડા, ખાતાના વડા અથવા કચેરીના વડાની પૂર્વ મંજૂરી મેળવ્યા વિના મુખ્ય મથક છોડવાની પણ મનાઈ કરવામાં આવી છે. આ પગલું રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા અને વહીવટી તંત્રની કાર્યક્ષમતા જાળવી રાખવાના હેતુથી લેવામાં આવ્યું છે.