ગાંધીનગર,તા.૦૩
ભારતમાં રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટ્રીખામી નિયંત્રણ અંતર્ગત આંખના વિવિધ રોગોને કારણે આવતા અંધત્વને રોકવા તેમજ ચક્ષુદાન અંગે જાગૃતિ ફેલાવવા માટેના પ્રયાસો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખભેથી ખભો મિલાવીને હાથ ધરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના સતત માર્ગદર્શન હેઠળ દ્રષ્ટિહીન લોકોના જીવનમાં ઉજાસ પાથરવાના ઉમદા આશયથી રાજ્યભરમાં ૩૯મું ચક્ષુદાન પખવાડીયું તા. ૦૮ સપ્ટેમ્બર સુધી ઉજવાશે. છેલ્લા દાયકામાં રાજ્યમાં દર વર્ષે સરેરાશ ૭ લાખ જેટલા મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા છે. સાથે જ, હાલ રાજ્યમાં પ્રતિ ૧૦ લાખ વસ્તીને ૧૦ હજારથી વધુ મોતિયાના ઓપરેશનનો દર હાંસલ કરીને રાજ્ય અગ્રેસર રહ્યું છે. ગુજરાત સરકારે ફેબ્રુઆરી ૨૦૨૨મા ‘મોતિયા અંધત્વ બેકલોગ મુકત ગુજરાત’ અભિયાનને વધુ વેગ આપી મહાઅભિયાન બનાવ્યું છે અને આ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પહેલું રાજ્ય છે.“મોતિયા અંધત્વ બેકલોગ મુક્ત ગુજરાત” કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૨૨ જાન્યુઆરીમાં રાજ્યમાં કાર્યરત ૧,૪૭૬ પ્રાથમિક, ૩૩૩ અર્બન, ૩૪૭ જેટલા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા મેડીકલ ઓફિસરને તેમજ ૫૦ હજારથી જેટલી આશા બહેનોને ખાસ તાલીમ આપવામાં આવેલ છે. આ ઉપરાંત, રાજ્યની દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાજયની ૧ રીઝયોનલ ઇન્સ્ટીટયુટ ઓફ ઓપ્થલ્મોલોજી, ૨૨ મેડીકલ કાલેજ, ૨૨ જિલ્લા હોસ્પિટલ, ૩૬ તાલુકા કક્ષાની હોસ્પિટલ અને ૧૨૮ સ્વૈચ્છિક સંસ્થાઓ પૈકી એક સંસ્થા ખાતે લીંક અપ કરવામા આવેલ છે. આ ઉપરાંત રાજ્યમાં સરકાર હસ્તકની હોસ્પિટલો તેમજ રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ સાથે સંકળાયેલ સ્વૈચ્છિક સંસ્થાઓ ખાતે મોતિયાના ઓપરેશનની જરૂરીયાત ધરાવતા દરેક દર્દીને ફેકોઇમ્લસીફીકેશન પદ્ધતિથી અત્યંત આધુનીક હાઇડ્રોફોબીક નેત્રમણિ સાથેનુ ઓપરેશન વિના-મુલ્યે કરી આપવામાં આવે છે. જેનો ખાનગી હોસ્પિટલમાં ખર્ચ અંદાજીત રૂ. ૬૦ થી ૮૦ હજાર જેટલો થતો હોય છે.